અમદાવાદ ઍરપોર્ટ પર ફ્લાઇટની મોટી દુર્ઘટના ટળી છે. અમદાવાદથી દીવ ટેક ઑફ કરવાની તૈયારી કરી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં અચાનક આગ લાગી છે. ફ્લાઇટમાં કુલ ૬૦ પ્રવાસીઓ હતા. આગની જાણ થતાં જ પાયલટે તુરંત એટીસીને ‘મેડે’નો કોલ આપ્યો હતો અને તાત્કાલીક પ્લેનને ટેક ઑફ કરતું અટકાવી દીધું હતું. ત્યારબાદ તમામ પ્રવાસીઓને સુરક્ષિત નીચે ઉતારી લેવાયા છે અને ફ્લાઇટ કેન્સલ કરી દેવાઈ છે.
ઇન્ડિગોના પ્રવક્તાએ કહ્યું કે, ‘આજે સવારે ૧૧.૦૦ કલાકે અમદાવાદ ઍરપોર્ટ પરથી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર ATR ૭૬ ટેક ઑફ થવાની હતી. જોકે ફ્લાઇટમાં ટેકનીકલ ખામીની જાણ થતાં જ ફ્લાઇટ રદ કરી દેવાઈ છે.’ રિપોર્ટ મુજબ એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) દ્વારા ફ્લાઇટને ક્લિયરન્સ પણ મળી ગયું હતું, ત્યારબાદ ફ્લાઇટે રન-વે પર રોલિંગ શરુ કરી દીધું હતું. રોલિંગ બાદ પ્લેન ટેક ઑફ થઈ જાય છે, જોકે આ દરમિયાન ફ્લાઇટના એન્જિનમાં આગ લાગી હતી. ત્યારબાદ પાયલટે તાત્કાલીક સમયસૂચકતા દાખવી એટીસીને મેડે કોલ આપ્યો હતો અને ફ્લાઇટ અટકાવી દીધી હતી.
પાયલટની સમયસૂચકતાના કારણે ફ્લાઇટના તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. મુસાફરોને ફ્લાઇટમાંથી સુરક્ષિત નીચે ઉતારાયા છે. ઇન્ડિગોના પ્રવક્તાએ કહ્યું કે, ‘પાયલટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરીને અધિકારીઓને માહિતી આપી છે અને પ્લેનને ફરી ‘બે’માં મોકલી દેવાયું છે. પ્લેનને ઓપરેશનમાં લાવ્યા પહેલા તમામ તપાસ અને મેન્ટેન્સ કરવામાં આવશે.

ઇન્ડિગો એરલાઇન્સે અસુવિધા બદલ મુસાફરોની માફી માંગી છે. એરલાઇન્સે મુસાફરોને તમામ સુવિધા પુરી પાડી અન્ય ફ્લાઇટ રવાના કર્યા છે અને ફુલ રિફંડની પણ ઓફર કરી છે. આ પહેલા સોમવારેના રોજ ગોવાથી ઇન્દોર જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં પણ લેન્ડિંગ પહેલા ટેકનિકલ ખામી થઈ હતી, જોકે પાયલટે ફ્લાઇટને સુરક્ષિત લેન્ડ કર્યું હતું.