વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)ના સેમિફાઈનલમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સ વિરૂદ્ધ રમવાનો ઈનકાર કરી દીધો છે. આ મેચ ૧ ઓગસ્ટ, ગુરૂવારે રમાવાની હતી. ભારતીય ટીમે જણાવ્યું હતું કે, તે પાકિસ્તાન વિરૂદ્ધ કોઈપણ પ્રકારની મેચ રમશે નહીં.
ભારત ચેમ્પિયન્સે મંગળવારે વેસ્ટઈન્ડિઝ ચેમ્પિયન્સને માત્ર ૧૩.૨ ઓવરમાં ઓલઆઉટ કરી સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ પાકિસ્તાન વિરૂદ્ધ આગામી ગુરૂવારે રમાનારી મેચમાં આપત્તિ વ્યક્ત કરી હતી. જેથી ગ્રુપ સ્ટેજની ભારત-પાકિસ્તાનની મેચ રદ કરવામાં આવી હતી. મેચ રદ કરવા પાછળનું કારણ ખેલાડીઓ અને ટૂર્નામેન્ટના મુખ્ય સ્પોન્સરે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનો વિરોધ હતો.
ઈઝમાયટ્રીપ નામની કંપની ટૂર્નામેન્ટની સ્પોન્સર હતી. તેણે સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાન સામે રમવાનો વિરોધ નોંધાવી સેમિફાઈનલ મેચથી અંતર જાળવવાનો નિર્ણય લીધો હતો. કંપનીના કો-ફાઉન્ડર નિશાંત પિટ્ટીએ જણાવ્યું કે, ભારતના લોકોની લાગણીનું સન્માન કરતાં અમે આ મેચમાં પીછેહટ કરી રહ્યા છીએ. આતંકવાદ અને ક્રિકેટ એક સાથે નહીં ચાલે.
પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના અને શિખર ધવને પણ જણાવ્યું હતું કે, પાકિસ્તાન વિરૂદ્ધ નહીં રમીએ. આ ટૂર્નામેન્ટમાં ભારતની શરૂઆત સારી રહી ન હતી. તેણે ત્રણ મેચમાં હારનો સામનો કર્યો હતો. દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કર્યો હતો. પાકિસ્તાન વિરૂદ્ધ ગ્રૂપ મેચ વરસાદના કારણે રદ રહી હતી. વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ જીત બાદ તે સેમિફાઈનલમાં પહોંચી હતી.