કંડલા એરપોર્ટથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટના વિમાન સાથે શુક્રવારે (૧૨મી સપ્ટેમ્બર) મોટી દુર્ઘટના સર્જાઈ હતી. વિમાન ઉડાન ભરતાની સાથે જ અચાનક તેનું પૈડું તૂટીને નીચે પડ્યું હતું. સદનસીબે વિમાન મુંબઈમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ થયું હતું. કંડલા એટીસીએ પૈડું નીચે પડી જવાની જાણ કરી, ત્યારબાદ મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી. સાંજે લગભગ ચાર વાગ્યે વિમાન મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ થયું હતું.
વિમાનનું પૈડું જમીન પર પડતાની સાથે જ, પાયલોટે સમજદારી બતાવી અને વિમાનને મુંબઈના રનવે પર ઉતાર્યું હતું. સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી જેથી વિમાનને કોઈક રીતે સુરક્ષિત રીતે લેન્ડ કરી શકાય. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,’૧૨ મી સપ્ટેમ્બરના રોજ, કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટ Q૪૦૦ વિમાનનું પૈડું ટેકઓફ પછી રનવે પર મળી આવ્યું હતું. વિમાન મુંબઈ તરફ આગળ વધ્યું અને સુરક્ષિત રીતે એરપોર્ટ પર લેન્ડિંગ થયું હતું. ત્યાર બાદ વિમાન ટર્મિનલ પર પહોંચ્યું અને બધા મુસાફરો સુરક્ષિત નીચે ઉતર્યા હતી.’
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું, ‘કંડલા એટીસીએ કંઈક પડતું જોયું. ઉડાન પછી અમે પાઇલટને આ અંગે જાણ કરી અને પડી ગયેલી વસ્તુ લાવવા માટે એટીસી જીપ મોકલવામાં આવી હતી. જ્યારે ATC ટીમ ત્યાં પહોંચી, ત્યારે જમીન પર ધાતુની રિંગ અને એક પૈડું મળી આવ્યું હતું.’
સિંગાપોર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી. કેબિન તાપમાનની સમસ્યાને કારણે ફ્લાઇટમાં સવાર ૨૦૦ થી વધુ મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેમને પહેલા કેબિન તાપમાનની સમસ્યાને કારણે વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા અને પછી લગભગ છ કલાક મોડા પડ્યા બાદ ફ્લાઇટે ઉડાન ભરી હતી. એર ઈન્ડિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ‘દિલ્હીથી સિંગાપોર જતી ફ્લાઇટ નંબર AI૨૩૮૦ પ્રસ્થાન પહેલાં કેબિન કૂલિંગ સમસ્યાને કારણે મોડી પડી હતી.’