૭૫ માં જન્મદિવસ નિમિતે પીએમ મોદીએ મધ્યપ્રદેશના ધારમાં યોજવામાં આવેલી જનસભામાં ઓપરેશન સિંદૂર વિષે વાત કરતા કહ્યું કે, ‘નવું ભારત કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને મારે છે. જે આતંકવાદીઓએ માતા અને બહેનાના સિંદૂર ઉજાળ્યા છે તેમના ઠેકાણાઓને અમે નષ્ટ કર્યા છે. આજે દેશ ‘મા ભારતી’ની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.’
મધ્યપ્રદેશના ધારમાં પીએમ મોદી ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ અને ‘આઠમા રાષ્ટ્રીય પોષણ માહ’ અભિયાનનો પ્રારંભ કરવા માટે પહોંચ્યા છે. વડાપ્રધાને પોતાના ભાષણમાં વધુ કહ્યું કે, ‘મહર્ષિ દધિચિનો ત્યાગ માનવતાની સેવા કરવાનો સંકલ્પ આપે છે. આ જ વિરાસતમાંથી પ્રેરણા લઈને આજે દેશ મા ભારતીની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. આપણા વીર જવાનોએ પળવારમાં જ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું. ગઈ કાલે જ દેશે અને દુનિયાએ જોયું કે ફરી એક પાકિસ્તાની આતંકવાદીએ રડી-રડીને પોતાની હાલત જણાવી છે.’
વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું, ‘આ નવું ભારત છે, તે કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. આ નવું ભારત ઘરમાં ઘૂસીને મારે છે. આજે ૧૭ સપ્ટેમ્બરે એક વધુ ઐતિહાસિક અવસર છે. આ દિવસે હૈદરાબાદની ઘટનાને અમર કરી દીધી છે. આજે જ દેશમાં સરદાર પટેલની ફૌલાદ જેવી ઈચ્છાશક્તિનું ઉદાહરણ જોવા મળ્યું હતું. ભારતીય સેનાએ હૈદરાબાદને અનેક અત્યાચારોમાંથી મુક્ત કરાવી, તેમના અધિકારોનું રક્ષણ કરીને ભારતના ગૌરવને ફરીથી સ્થાપિત કર્યું. દેશની આટલી મોટી સિદ્ધિને દાયકાઓ વીતી ગયા, કોઈ યાદ કરનારું નહોતું. આપે મને તક આપી અને અમારી સરકારે તે ઘટનાને અમર કરી દીધી છે. અમે ભારતના એકતાના પ્રતીક એવા આ દિવસને હૈદરાબાદ લિબરેશન ડે તરીકે ઉજવવાની શરૂઆત કરી છે.’
વડાપ્રધાન મોદીએ ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ કરતા કહ્યું કે, ‘આજે વિશ્વકર્મા જયંતિના દિવસે એક મોટી ઔદ્યોગિક શરૂઆત થવા જઈ રહી છે. દેશના સૌથી મોટા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ ધારમાં થયો છે. આ પાર્કથી ભારતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને નવી ઊર્જા મળશે અને ખેડૂતોને તેમની ઉપજનું યોગ્ય મૂલ્ય મળશે. તેમજ યુવાનોને મોટી સંખ્યામાં રોજગાર પણ મળી રહેશે.’
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન દેશની માતા અને બહેનોને સમર્પિત છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય એ છે કે, ‘એક પણ મહિલા, જાણકારી કે સંસાધનના આભાવે બીમારનો શિકાર ન બને.’