રાજકોટના રિંગ રોડ-2 પર આવેલી રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા 5 ફાયર ફાઇટર દોડી ગયા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પરંતુ આગ કાબૂમાં આવે તે પહેલા જ આખી રેસ્ટોરન્ટ બળીને ખાખ થઇ ગઇ હતી. લાકડાના સ્ટીમ્બરમાં રેસ્ટોરન્ટ બનાવવામાં આવી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું.
આગ લાગવા પાછળનું કારણ અકબંધ
જોકે રેસ્ટોરન્ટમાં આગ ક્યાં કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગવા પાછળનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. થોડીવાર માટે તો અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને કર્મચારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ સર્જાય નથી.

થોડા દિવસ પહેલા ગોંડલમાં તિરૂપતિ ઇન્ડસ્ટ્રીઝમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી
ગોંડલમાં થોડા દિવસ પહેલા આગનો બનાવ સામે આવ્યો હતો. વહેલી સવારે કોટન રોલના કારખાનામાં આગ લાગી હતી અને ફાયરબ્રિગેડે ગણતરીની કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં ઉમવાડા રોડ પર આવેલી તિરૂપતિ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. આથી ગોંડલથી 2 અને રાજકોટથી એક ફાયર ફાઇટર દોડી ગયું હતું અને આગ કાબૂમાં લીધી હતી. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાય નથી.