ટેલિકોમ કંપનીઓની સંસ્થા સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) એ સામાન્ય લોકોને નકલી મેસેજની ચાલમાં ના ફસાવા ચેતવ્યા છે. આ ફ્રોડ મેસેજથી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે સરકારે ઓનલાઇન શિક્ષણ માટે 10 કરોડ ગ્રાહકોને મફત રિચાર્જ કરાવી આપવાનો નિર્ણય લીધો છે. અને એના માટે એક લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે.
COAIએ ચેતવણી આપી છે કે આવી કોઈ લિંક પર પર ક્લિક કરીને, તમારી વિગતો અને અન્ય માહિતી મોબાઇલ ફોનથી ચોરી શકાય છે. પછીથી તેની વધુ ગંભીર અસરો થઈ શકે છે.
10 કરોડ ગ્રાહકોને મફત રિચાર્જ કરાવી આપવાનો દાવો
સીઓએઆઈ દ્વારા જારી કરવામાં આવેલી સલાહમાં કહેવામાં આવ્યું છે કે આ બનાવટી સંદેશાઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે ઓનલાઇન શિક્ષણ માટે 10 કરોડ ગ્રાહકોને મફત રિચાર્જ આપવાનું વચન આપ્યું છે.
ઉદ્યોગ સંગઠન COAIના સભ્યોમાં રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા શામેલ છે.
આવી લિંક્સ પર ક્લિક કરશો નહીં
સીઓએઆઈએ કહ્યું કે આવી નકલી માહિતીથી લોકો મફત ઓફરનો લાભ લેવા માટે લિંક પર ક્લિક કરી શકે છે. સીઓઆઈએ ગ્રાહકોને સલાહ આપી છે કે આવી લિંક્સ પર ક્લિક ન કરો.
આ કૌભાંડ અંગે સામાન્ય લોકોને ચેતવણી આપતા તેમણે કહ્યું કે આપણે આવા મેસેજ ડીલીટ કરી નાખવા જોઈએ અને કોઈને ફોરવર્ડ ન કરવા જોઈએ. દરેક વ્યક્તિ સાથે મળીને આ છેતરપીંડી સામે લડી શકે છે અને બીજાઓને છેતરામણીથી બચાવી શકે છે.
સીઓએઆઈએ કહ્યું, જો તમને આવો કોઈ મેસેજ મળે છે, તો લિંક પર ક્લિક ન કરો કારણ કે તે મોબાઇલ ઉપકરણથી ડેટા અને માહિતી ચોરી શકે છે.