ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ હોનારત, 16 લોકોના મોત

ગુજરાતમાં ભરૂચ ખાતે આવેલી પટેલ વેલફેર હોસ્પિટલના કોરોના કેર વોર્ડમાં આગ હોનારત નોંધાઈ છે. મોડી રાતે નોંધાયેલી આ દુર્ઘટનામાં આઈસીયુ વોર્ડ સુધી આગની લપેટો પહોંચી ગઈ હતી અને હોસ્પિટલ પરિસરમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. દુર્ઘટના અંગે જાણ થતા જ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું પરંતુ સમગ્ર દુર્ઘટનામાં 12 દર્દીઓ, સ્ટાફના 2 કર્મી સહિત 16 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી આ હોસ્પિટલને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હોવાથી છેલ્લા 1 વર્ષથી કોરોના પોઝિટિવ દર્દીઓ આ હોસ્પિટલમાં ફ્રી સારવાર મેળવી રહ્યા હતા. દુર્ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રેસ્ક્યુ કરીને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આગ હોનારત અંગે જાણ થતા જ ભરૂચ પશ્ચિમ વિસ્તારના 5થી 6 હજાર લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દર્દીઓના પરિવારજનોએ તેમના સ્વજનોને બચાવવા ધમપછાડા શરૂ કરી દીધા હતા. પોલીસના કાફલા ઉપરાંત ફાયર વિભાગની 12થી વધુ ગાડીઓએ આગને કાબૂમાં લેવાની તજવીજ શરૂ કરી દીધી હતી અને 40થી વધારે એમ્બ્યુલન્સ બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી. હોસ્પિટલમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે અને આગ હોનારત બાદ વીજ પુરવઠો ખોરવાતા બચાવ કામગીરીમાં મુશ્કેલી અનુભવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *