નવી દિલ્હી : કોરોનાની રસી બનાવનારી અમેરિકન કંપની મોડર્નાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ભારતમાં કોરોનાની રસી સીધી રાજ્યોને નહીં પહોંચાડે. કંપનીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીની પોલિસી અનુસાર તે સીધા ભારત સરકારની સાથે રસી મામલે ડીલ કરશે.
રાજ્યોને સીધી આ રસી કંપની દ્વારા પુરી નહીં પાડવામાં આવે અને કેન્દ્ર સરકારને આપવામાં આવશે. જે બાદમાં હાલ જે રીતે અન્ય રસી આપવામાં આવી રહી છે તે રીતે રાજ્યોને કેન્દ્ર સરકાર દ્વારા પહોંચાડી દેવાશે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા દરેક રસી બનાવતી કંપનીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર મોડર્ના દ્વારા જ જવાબ આપવામાં આવ્યો હતો અને જાણ કરવામાં આવી હતી કે રાજ્યોને આ કંપની સીધી રસી નહીં આપે.
પંજાબમાં રસીની અછતને કારણે રસીકરણ અભિયાનને અટકાવવું પડયું હતું. જેને પગલે પંજાબ સરકારે રસી બનાવતી કંપનીઓનો સંપર્ક કર્યો હતો. પંજાબ સરકારે કહ્યું છે કે રસીની જે અછત હાલ છે તેને પુરી કરવા માટે દરેક પ્રકારના પ્રયાસો કરવામાં આવશે.
પંજાબમાં નવા પાંચ હજારથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. એવામાં રસીની અછતને કારણે કોરોના મહામારી સામેના અભિયાનને પણ અસર પહોંચી છે. હાલ વિદેશમાં બનેલી રસીને પણ ભારતમાં મંજૂરી મળવા લાગી છે. એવામાં મોડર્ના રસીનો તેમાં સમાવેશ થાય તેવી શક્યતાઓ છે.