૬૮૫ કરોડ રૃપિયાના ખાતર કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના સંબધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ રાજદના સાંસદ અમરેન્દ્ર ધારી સિંહની ધરપકડ કરી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
૬૧ વર્ષીય રાજ્યસભા સાંસદ અને ઉદ્યોગપતિની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ)ની વિવિધ જોગવાઇઓ હેઠળ ડિફેન્સ કોલોની સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસ ૨૦૦૭ થી ૨૦૧૪ દરમિયાન ઇફ્ફકો(આઇએફએફસીઓ)ના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ યુ એસ અવસ્થીના એનઆરઆઇ પુત્રો તથા ઇન્ડિયન પોટાશ લિમિટેડ(આઇપીએલ)ના મેનેજિંગ ડાયરેક્ટર પી એસ ગેહલોત અને અન્યોને વિદેશી સપ્લાયર્સ દ્વારા આપવામાં આવેલ ૬૮૫ કરોડ રૃપિયાના ગેરકાયદે કમિશન સાથે સંકળાયેલ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કમિશન ઓગસ્તાવેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર કેસના આરોપી રાજિવ સકસેના દ્વારા કરવામાં આવેલા વ્યવહારો દ્વારા ચુકવવામાં આવ્યું હતું.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે બિહારમાં રાજદ દ્વારા ગયા વર્ષે માર્ચ મહિનામાં અમરેન્દ્ર ધારી સિંહને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતાં. તેઓ દુબઇ સ્થિત કંપની જ્યોતિ ટ્રેડિંગ કોર્પોરેશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પણ છે.