ગુજરાત સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં કોઇપણ પ્રકારની કટોકટી ઊભી ન થાય તે માટે રાજ્યના 20 સિનિયર સનદી અધિકારીઓની ટીમો બનાવી છે. આ તમામ ટીમ ગુરુવારથી જ કાર્યરત થઇ જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના અંગેની કોર કમિટીની બેઠકમાં આ તમામ અધિકારીઓને બોલાવીને તેમની જવાબદારી સમજાવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના અંગેની કોર કમિટીની બેઠકમાં આ તમામ અધિકારીઓને બોલાવીને તેમને નક્કી કરાયેલી 13 અલગ-અલગ કામગીરી માટેની જવાબદારી સમજાવી હતી. જો ત્રીજી લહેર આવે તો મૃત્યુ આંક વધે નહીં, સંક્રમિતોને ત્વરિત સારવાર મળે, હોસ્પિટલમાં બેડ, દવા, ઓક્સિજન સહિતની પુરતી વ્યવસ્થાઓ મળે તે માટે અલગ અલગ કામગીરી નક્કી કરીને તેની જવાબદારી આ અધિકારીઓને સોંપાઇ છે.આ ટીમોને હોસ્પિટલ અને બેડની સુવિધા, ઓક્સિજન સપ્લાય, દવાઓ, મેડીકલ સાધનો, વેન્ટિલેટર, સીટી સ્કેન, ટેસ્ટ લેબ, એમ્બ્યુલન્સ, તબીબી અને હોસ્પિટલ સ્ટાફની ભરતી અને તાલીમ, રસીકરણ જેવી જવાબદારીઓ નિભાવવાની રહેશે.
કોને કઇ જવાબદારી સોંપવામાં આવી
- મનોજ અગ્રવાલ, જયપ્રકાશ શિવહરે- રાજ્ય સ્તરનું ટાસ્ક ફોર્સ
- મિલિંદ તોરવણે, સંદીપ વસાવા- હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
- ધનંજય દ્વિવેદી, સંજીવ કુમાર- ઓક્સિજન સપ્લાય અને પીએસએ
- મનોજ દાસ, હારિત શુક્લા- દવા, સાધનો, CT SCAN,RTPCR
- વિજય નેહરા, સચિન ગુસીઆ- સ્ટેટ કમાંડ એન્ડ કંટ્રોલરૂમ, ડેશબોર્ડ
- મનીષા ચંદ્રા – 108 એમ્બ્યુલન્સ
- કે કે નિરાલા – ધન્વંતરી રથ
- પંકજ જોષી, જયપ્રકાશ શિવહરે- ભરતી તથા તાલીમ
- પી સ્વરૂપ, એમ એ પંડ્યા- રસીકરણ
- અવંતિકાસિંઘ ઔલખ- ટેલિમેડિસીન
- વિજય નેહરા- જિનોમ સિક્વન્સ
- સોનલ મિશ્રા મારું- ગામ કોરોના મુક્ત ગામ
- રાજકુમાર બેનિવાલ- મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ
નહેરા બેડ-એમ્બ્યુલન્સેની વ્યવસ્થા કરશે
વિજય નહેરાને સ્ટેટ કમાંડ એન્ડ કંટ્રોલરૂમની અગત્યની જવાબદારી સોંપાઇ છે. રાજ્યની હોસ્પિટલોમાં બેડ તથા એમ્બ્યુલન્સની ઉપલબ્ધિ જેવી વ્યવસ્થાઓનું રીયલ ટાઇમ મોનિટરિંગ તેઓ કરશે.