ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે તાજેતરમાં જ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા પાટીદાર મુખ્યમંત્રીની માંગણી કરી હતી. આ પછી ગઈ કાલે ક્ષત્રિય સમાજે પોતાના સમાજના મુખ્યમંત્રીની માંગણી કરી હતી. હવે રાજ્યમાં વધુ એક સમાજ સામે આવ્યો છે. જેણે પોતાના સમાજના મુખ્યમંત્રીની માંગ કરી છે.
રાજકોટ ખાતે કોળી-ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. મુખ્યમંત્રી તેમના સમાજના બને તે માટે બંધ બારણે બેઠક મળી હતી. સમસ્ત કોળી-ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. કોળી-ઠાકોર સમાજના રાજકીય આગેવાનોમાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવા માંગ કરાઈ છે. કોળી-ઠાકોર સમાજની મિટિંગનો વિડીયો વાયરલ થયો છે.
નોંધનીય છે કે, 2022ની વિધાનસભાની ચૂંટણી (2022 gujarat Assembly Election) અગાઉ રાજકોટના (Rajkot) કાગવડ ખોડલધામ (Khodaldham) પર પાટીદાર આગેવાનો એકમંચ પર એકઠા થયા હતા. ત્યારે બેઠકમા ઉપસ્થિત રહેવા ખોડલધામ પહોંચેલા ચેયરમેન નરેશભાઈ પટેલે (Khodaldham Chairman Nareshbhai Patel) મોટુ નિવેદન આપ્યું હતું. ખોડલધામના ચેયરમેન નરેશભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે 2022માં પાટીદાર સમાજના મુખ્યમંત્રી બને તેવી ઈચ્છા છે.
નોંધનીય છે કે, કાગવડ ખોડલધામમાં મળેલી પાટીદાર અગ્રણીઓની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં સૌથી મોટો નિર્ણય એ લેવામાં આવ્યો કે હવે પછીની મળનારની પાટીદાર સમાજની તમામ બેઠકમાં કડવા કે લેઉવા નહી લખવામાં આવે. ફક્ત પાટીદાર બેઠક જ લખાશે. એટલુ જ નહી વિશ્વની તમામ પાટીદાર સંસ્થાઓ એક નેજા હેઠળ આવીને ફેડરેશન બને તેવો નિર્ણય લેવામાં આવ્યો. જે ફેડરેશનનું નામ પણ થોડા સમયમાં જાહેર કરવામાં આવશે.પત્રકારોના સવાલના જવાબ આપતા ખોડલધામના ચેયરમેન નરેશ પટેલે ફરીથી ચૂંટણી લડવાનો ઈંકાર કર્યો હતો.