મહારાષ્ટ્રના ડીજીપીએ મુંબઇમાં 8 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવી રહેલા 727 જેટલા અધિકારીઓની બદલીનો આદેશ જાહેર કર્યો છે. આ લીસ્ટમાં પીઆઇ, એપીઆઇ અને પીએસઆઇ પણ સામેલ છે.
આ અધિકારીઓને 3 જિલ્લા પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. એંટીલિયા કેસ તેમજ 100 કરોડની વસૂલીના મામલામાં સંજય વાઝેનું નામ સામે આવ્યા બાદ આ બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટની સફાઇ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે
મળતી માહિતી અનુસાર, મુંબઇમાં 8 વર્ષ કરતા વધુ સમયથી સેવા આપી રહેલા 727 પોલીસ અધિકારીઓનું લીસ્ટ ડીજીપી ઓફિસમાં સબમીટ થઇ ચૂક્યું છે. આ લીસ્ટને અંતિમ નિર્ણય માટે પોલીસ સ્થાપના બોર્ડ પીઇબીને મોકલવામાં આવશે અને ત્યાંથી જ નિર્ણય લેવાશે કે આ અધિકારીઓની બદલી થશે કે નહીં
આ સૂચીમાં 89 જેટલા વરિષ્ઠ પોલીસ અધિકારીઓના નામ પણ સામેલ છે. સંતોષ બાગવે, પ્રશાંત રાજે, લતા શિરસત, શૈલેશ પાસલવાડ, જગદીશ સેલ, બાબાસાહેબ સાલુંખે, અશોક ખોત, રાજૂ કસ્બે, શાલિની શર્મા, મૃત્યુંજય હિરેમઠ, રવિ સરદેસાઇ, જગદેલ કલાપડ, વિનય ઘોરપડે, અજય સાવંત અને સાગર શિવલકર સામેલ છે. આમાંથી મોટા ભાગના અધિકારીઓ ક્રાઇમ બ્રાંચમાં કામ કરી ચૂક્યા છે.