હિંદી સિનેમાના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું અવસાન થયું છે. દિલીપ કુમારે બુધવારે સવારે 98 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર રહેતા હતા અને અનેક વખત તેમને મુંબઈ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દિલીપ કુમારના અવસાનથી બોલિવુડ સહિત દેશભરમાં શોકની લાગણી વ્યાપી છે અને અનેક દિગ્ગજોએ તેમને નમન પાઠવ્યા હતા. દિલીપ કુમારે બુધવારે સવારે 7:30 કલાકે મુંબઈના ખાર ખાતે આવેલી હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલના ડૉ. પાર્કર જે તેમની સારવાર કરી રહ્યા હતા તેમણે દિલીપ કુમારના અવસાનની પૃષ્ટિ કરી હતી.
દિલીપ કુમારને છેલ્લા એક મહિનામાં 2 વખત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ગત 5 જુલાઈના રોજ દિલીપ કુમારના ટ્વીટર હેન્ડલ પરથી તેમની હેલ્થ અપડેટ આપવામાં આવી હતી. દિલીપ કુમારના પત્ની સાયરા બાનોએ દિલીપ કુમારની તબિયતમાં સુધારો હોવાનું નિવેદન આપ્યું હતું. વધુમાં લખ્યું હતું કે, તમે તમારી દુઆઓમાં તેમને સામેલ કરો. પરંતુ તે હેલ્થ અપડેટના 2 દિવસ બાદ દિલીપ કુમાર આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે.