સુરતની ઓળખમાં કુદકે ને ભૂસકે વધારો થઇ રહ્યો છે. સુરત હવે બ્રિજ સીટી તરીકે ઓળખાઈ રહ્યું છે. સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) દ્વારા આવનાર 6 મહિનામાં વધુ 3 બ્રિજ ખુલ્લા મુકવામાં આવશે.
સુરત શહેરની ઓળખ પહેલા ફક્ત ટેકસટાઇલ અને ડાયમંડ સીટી તરીકે જ થતી હતી. પણ હવે શહેર બ્રિજ સીટી (Bridge City) તરીકેની નવી ઓળખ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં જ સુરતમાં તાપી નદી પર 14મો અને શહેરનો 115મો પાલ ઉમરા બ્રિજ ખુલ્લો મુકાયો હતો. ત્યાં હવે આગામી 6 મહિનામાં જ બીજા નવા 3 બ્રિજ ખુલ્લા મુકવાના અણસાર મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આપ્યા છે.
સુરતમાં વસ્તીવધારાની સાથે સાથે વાહનોની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે તેવા સમયે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે બ્રિજ મહત્વના પુરવાર થયા છે. શહેરમાં વધુને વધુ બ્રિજનું બાંધકામ કરીને દુરંદેશીનો પરિચય મનપાના તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે.
હાલમાં મનપાના બ્રિજ સેલમાં ચાલી રહેલા બીજા ત્રણ પ્રોજેકટ પણ ખૂબ મહત્વના સાબિત થવા જઈ રહ્યા છે. જેમાં રીંગરોડ અને સહારા દરવાજાના ટ્રાફિકની સમસ્યાને નિવારવા સહારા દરવાજા જંકશન, મોટા વરાછા અને નાના વરાછાને જોડતો તાપી નદીનો તેમજ ફ્લાયઓવર બ્રિજ અને વેડ વરિયાવ બ્રિજ પણ આગામી છ મહિનામાં એટલે કે ડિસેમ્બર- ૨૦૨૧ સુધી ખુલ્લો મુકાય તેવી સંભાવના છે.
વેડ વરિયાવ બ્રિજ
વેડ વરિયાવ બ્રિજના કારણે વેડ રોડ પરથી વરિયાવ જવા માત્ર લેવો લડતો સાત આઠ કિમીનો ફેરો ઘટી જશે. તેમજ રાંદેર અને કતારગામ વચ્ચે વધુ એક કનેક્ટિવિટી મળશે. તે જ પ્રમાણે નાના વરાછા અને મોટા વરાછા વચ્ચે પણ કનેક્ટિવિટી વધશે. આ ઉપરાંત સહરા દરવાજા પરનો બ્રિજ શહેરનો પહેલો મલ્ટીલેયર બ્રિજ છે જે પણ એક નવું નજરાણું અને ટ્રાફિક સમસ્યા ઓછી કરવા મહત્વનો સેતુ સાબિત થશે.
સુરતનો પહેલો મલ્ટીલેયર બ્રિજ
સહારા દરવાજા ખાતેનો બ્રિજ 133 કરોડના ખર્ચે તૈયાર થયો છે. બ્રિજની લંબાઈ અંદાજે 2 કિમી છે. 25 ઓક્ટોબર 2017ના દિવસે બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ બ્રિજ બનવાથી અહીં રોજના અવરજવર કરતા 15 લાખ નાગરિકોને ફાયદો થશે.