સુપ્રીમ કોર્ટે શુક્રવારે રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે થયેલી બહુચર્ચિત ડીલ વિરૂદ્ધ એમેઝોનની અરજી પર પોતાનો ચુકાદો સુણાવ્યો હતો. જેમાં, સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં ચુકાદો આપ્યો છે. રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે 24 હજાર કરોડની ડીલ પર હાલ રોક લગાવવામાં આવી છે. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સિંગાપુરમાં જે ઈમરજન્સી આર્બિટ્રેશનનો નિર્ણય છે તે જ ભારતમાં પણ લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, સિંગાપુરમાં રિલાયન્સ-ફ્યુચર ગ્રુપના ચુકાદા ઉપર રોક લગાવી દેવામાં આવી હતી અને ત્યાર બાદ ભારતમાં પણ એમેઝોને વિલય સોદા વિરૂદ્ધ અરજી કરી હતી.
રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે 24 હજાર કરોડની ડીલ વિરૂદ્ધ એમેઝોને સૌથી પહેલા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ કેસ માં હાઈકોર્ટે તે ડીલ પર રોક લગાવવા મનાઈ કરી દીધી હતી. તેથી એમેઝોને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
શું છે આખી મેટર?
જાણીતું છે કે દેશના વિવિધ વિસ્તારોમાં ફેલાયેલા બિગ બજાર(Big Bazar) એ ફ્યુચર ગ્રુપનો જ હિસ્સો છે. થોડા સમય પહેલા રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપમાં રિટેલ માર્કેટને લઈ સૌથી મોટી સમજૂતી થઈ હતી અને 24,713 કરોડની ડીલ બાદ રિલાયન્સ પાસે ફ્યુચર ગ્રુપના માલિકી હક આવી ગયા હતા. આ ડીલને લઈ એમેઝોને વિરોધ નોંધાવ્યો હતો કારણ કે, ફ્યુચર ગ્રુપની એક કંપનીમાં એમેઝોનનો 49 ટકા ભાગ હતો. ડીલ પ્રમાણે જો કંપની વેચવામાં આવે તો તેને ખરીદવાનો પહેલો અધિકાર એમેઝોનને જ મળે. પરંતુ રિલાયન્સ-ફ્યુચર ગ્રુપની ડીલમાં તેનું પાલન નહોતું કરવામાં આવ્યું. એમેઝોને આને લઈ સૌથી પહેલા સિંગાપુરની કોર્ટમાં રાવ નાખી હતી જ્યાં તેના પક્ષમાં ચુકાદો આવ્યો હતો.
ત્યાર બાદ આ કેસ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો હતો જ્યાં હાઈકોર્ટ એ ડીલને આગળ વધારવા કહેવામાં આવ્યું હતું. પણ હવે સુપ્રીમ કોર્ટે આ ડીલ પર રોક લગાવી દીધી છે.