હિંદુ ઓ માટે ગણાતો પવિત્ર શ્રાવણ માસ કે જે આજ થી શરુ થઈ ગયો છે. શ્રાવણ ના આજે પ્રથમ દિવસ- સોમવારે વહેલી સવારથી પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરએ શિવભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. વહેલી સવારથી જ ભગવાન ભોળાનાથનાં દર્શન માટે લોકોની લાંબી લાઇન લાગી છે. સોમનાથમાં શિવલિંગનાં દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા. ભીડ એકત્ર ન થાય એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કોવિડની ગાઇડલાઇન્સ મુજબ, ભાવિકો દર્શન કરી શકે એ માટે તમામ વ્યવસ્થા કરી છે.
જગવિખ્યાત સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે સવારે 4 વાગ્યે ખૂલ્યા ત્યારે શિવભક્તોનો મોટો સમૂહ પરિસરમાં કતારબંધ લાઈનમાં ઊભા હતા. ભક્તોના ‘હર હર મહાદેવ… ૐ નમઃ શિવાય’ના નાદથી પરિસરનું વાતાવરણ શિવમય બની ગયું હતું. કોરોનાના નિયમનું પાલન કરતા શિવભક્તો કતારબંધ લાઇનમાં મંદિરમાં પ્રવેશ કરી મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા હતા.
કોરોના મહામારીને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ સહિતના તંત્રએ ભાવિકોને દર્શન માટે અનેક પ્રતિબંધો સાથે નિયમો જાહેર કર્યા છે, જે આ મુજબ છે:
- ઓનલાઈન-ઓફલાઇન પાસ લઈને જ ભાવિકો દર્શન માટે જઈ શકશે.
- ફરજિયાત માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે.
- મંદિરમાં સવારે 7, બપોરે 12 અને સાંજે 7 વાગ્યે થતી ત્રણ ટાઈમ આરતીમાં ભાવિકોને પ્રવેશ મળી શકશે નહીં.
આ સહિતના તમામ નિયમોનું આજે સવારથી સોમનાથ આવતા ભાવિકો પાસે તંત્રએ તહેનાત કરાવેલા સુરક્ષા જવાનો અને સ્ટાફ પાલન કરાવી રહ્યો હતો.
શ્રાવણ માસના પ્રથમ દિવસે ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મંદિર ટ્રસ્ટના પી.કે.લહેરીના હસ્તે શ્રાવણ માસનું પ્રથમ ધ્વજારોહણ અને પૂજાવિધિ થઈ હતી.