ઇસરો(ISRO) ના વૈજ્ઞાાનિકો(Scientists) ને જબરજસ્ત સફળતા મળી છે. ઇસરોના બીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-2 (chandrayan-2)એ ચંદ્ર પર પાણીની હાજરી શોધી કાઢી છે, એમ મિશનને મળેલા આંકડા પરથી જાણવા મળ્યું છે. ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન એ એસ કિરણકુમાર દ્વારા સંયુક્ત રીતે લખાયેલા લેખમાં જણાવાયું હતું કે ચંદ્રયાન-ટુના પેલોડ પરના ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર (આઇઆઇઆરએસ) દ્વારા આ ડેટા મેળવવામાં આવ્યો છે.
ચંદ્રયાનના આર્બિટરના ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર (આઇઆઇઆરએસ) તરફથી મોકલવામાં આવેલા આંકડા તથા ચિત્રોના વિશ્લેષણ પછી ચંદ્રની સપાટી પર હાઇડ્રોક્સિલ (વોટર મોલેક્યુલ્સ) તેમજ એચટુઓ (પાણી) હોવાની સાબિતી મળી છે. આ અભ્યાસ ચંદ્રના રહસ્યો ઉકેલવામાં જોતરાયેલા સમગ્ર વિશ્વના વૈજ્ઞાાનિકો માટે મોટો આધાર બની શકે છે.
આઇઆઇઆરએસના ડાયરેક્ટર પ્રકાશ ચૌહાણના જણાવ્યા મુજબ ચંદ્ર પર પાણીના સંકેત ૨૯ ડિગ્રી નોર્થથી લઈને ૬૯ ડિગ્રી ઉત્તરની વચ્ચે મળ્યા છે. આ ક્ષેત્રમાં સૂરજનો પ્રકાશ પડે છે અને ત્યાં જ પાણીના સંકેત મળ્યા છે. પાણીની ઉપલબ્ધતાની દિશામાં સ્પેસ વેધરિંગ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. આ એક પ્રક્રિયા હોય છે, જ્યારે સૌર હવા ચંદ્રની સપાટીને સ્પર્શે છે. તેની સાથે આ પ્રક્રિયાના કેટલાક અન્ય કારક જુદા-જુદા રાસાયણિક ફેરફાર કરી પાણીનું સર્જન કરે છે. હાલના અભ્યાસથી ખબર પડે છે કે ચંદ્ર પર પાણીની ઉપલબ્ધતા 800થી 1000 પીપીએમ (પાર્ટ્સ પર મિલિયન) જોવાઈ છે. આર્બિટર પાસેથી મળતા આંકડાઓનું અવિરત વિશ્લેષણ જારી છે.