ભારત: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહનું લાંબી માંદગી બાદ શનિવારે 21મી ઓગસ્ટની મોડી સાંજે નિધન થયું. તેમણે 89 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. પૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહના અંતિમ સંસ્કાર અલીગઢમાં ગંગા કિનારે નરોરા ઘાટ ખાતે 23 ઓગસ્ટેને સોમવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. ઉતરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. કલ્યાણ સિંહને લોકો શ્રદ્ધાજલી આપી શકે તે માટે તેમનો પાર્થિવ દેહ રવિવાર 22 ઓગસ્ટે ઉતરપ્રદેશના ભાજપ કાર્યાલયમાં રાખવામાં આવશે.
શનિવારે રાત્રે સંજય ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (એસજીપીજીઆઈ) દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતુ કે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહ લાંબા સમયથી બીમાર હતા અને તેમના અંગોએ ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ પછી, શનિવારે મોડી સાંજે તેમનું અવસાન થયું. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય, ઉતરપ્રદેશ ભાજપના પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહે લખનૌમાં પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉતરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજકીય શોક જાહેર કર્યો છે. તો કલ્યાણ સિંહના અંતિમ સંસ્કારના દિવસે ( 23 ઓગસ્ટે ) જાહેર રજા રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
કલ્યાણ સિંહની છબી પછાત નેતા તેમજ ફાયરબ્રાન્ડ હિન્દુ નેતા તરીકે મજબૂત બની હતી. વર્ષ 1991 માં યુપી વિધાનસભાની ચૂંટણી માં યુપીમાં 425 માંથી 221 બેઠકો જીતીને ભાજપે સત્તાના રથ પર સવાર થઈ કલ્યાણ સિંહને રથ પર બેસાડ્યા હતા.