બોલિવુડ અભિનેતા અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયાનું અવસાન થયું છે. તેમની માતા ઘણાં લાંબા સમયથી બીમાર હતા. અક્ષય કુમારે સોશિયલ મીડિયા દ્વારા પોતાની માતાના અવસાનની જાણકારી આપી છે. આ સાથે જ અભિનેતાએ માતાના નામે એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.
અક્ષય કુમારે પોસ્ટમાં લખ્યું હતું કે, તે મારો મહત્વનો હિસ્સો હતી. આજે મને અસહનીય પીડા અનુભવાઈ રહી છે. મારી માતા શ્રીમતી અરૂણા ભાટિયાએ આજે સવારે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તે બીજી દુનિયામાં મારા પિતા સાથે ફરી મળી ગઈ છે. હું તમારી દુઆઓનું સન્માન કરૂ છું કારણ કે, હું અને મારો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. ઓમ શાંતિ.
અક્ષય કુમારની આ પોસ્ટ જોયા બાદ લોકો તેમની માતાના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. ચાહકો અને બોલિવુડના કલાકારોએ કોમેન્ટ કરીને અક્ષય કુમારને સાંત્વના પાઠવી છે. અક્ષય કુમાર પોતાની માતાની ખૂબ નજીક હતા. તેઓ સોશિયલ મીડિયા પર પોતાની માતા સાથેની પોસ્ટ પણ શેર કરતા રહેતા હતા.
She was my core. And today I feel an unbearable pain at the very core of my existence. My maa Smt Aruna Bhatia peacefully left this world today morning and got reunited with my dad in the other world. I respect your prayers as I and my family go through this period. Om Shanti 🙏🏻
— Akshay Kumar (@akshaykumar) September 8, 2021
અક્ષય કુમારની માતાની તબિયત છેલ્લાં ઘણા સમયથી સારી નહોતી રહેતી. શુક્રવારે સાંજે અરૂણા ભાટિયાને મુંબઈની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ આઈસીયુમાં દાખલ હતા અને તેમની સ્થિતિ ખૂબ જ નાજુક હતી. માતાની તબિયત ખરાબ હોવાની જાણ થતા જ અક્ષય કુમાર લંડનથી તરત મુંબઈ આવી ગયા હતા. તેઓ લંડનમાં પોતાની ફિલ્મ સિંડ્રેલાનું શૂટિંગ કરી રહ્યા હતા.