ગુજરાતમાં છે દેશનું સૌથી મોટું ગણપતિ મંદિર, ગણપતિ મંદિરનો આકાર જ ગણેશજીની મૂર્તિ જેવો

ગણેશ ચતુર્થીનો તહેવાર 10 સપ્ટેમ્બર, શુક્રવારે દેશભરમાં શરૂ થઇ રહ્યો છે. ગણેશોત્સવમાં દેશના જુદા જુદા ગણપતિ મંદિરોમાં ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ગણેશોત્સવ દરમિયાન જુદા જુદા ગણપતિ મંદિરમાં દર્શન કરવાનું અનેરું મહાત્મ્ય છે. ત્યારે અમદાવાદ નજીક આવેલું ગણેશ મંદિર (shree Siddhivinayak Temple, Mahemdabad, Gujarat) ખાસ છે. આ ગણપતિ મંદિરનો આકાર જ ગણેશજીની મૂર્તિ જેવો છે. મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરથી ( Mumbai Siddhivinayak Temple) લાવવામાં આવેલી જ્યોત અહીં સ્થાપિત કરવામાં આવી છે. એટલા માટે આ મંદિરનું નામ પણ સિદ્ધિવિનાયક રાખવામાં આવ્યું છે. આ વિશાળ મંદિર તેની અદભૂત સ્થાપત્ય માટે ખૂબ પ્રખ્યાત છે. આ મંદિર 600,000 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ભગવાન ગણેશની મૂર્તિની વિશાળ પ્રતિકૃતિ તરીકે બનાવવામાં આવી છે.

અમદાવાદ નજીક મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે ગણેશજીનું શ્રી સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે. મંદિરની ઉંચાઈ 73 ફૂટ ઉંચું છે. મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. દેશનું આ સૌથી મોટું ગણેશ મંદિર શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલું છે. મંદિર ખુલ્લુ મુકાયા બાદ વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે.

દર મંગળવારે અહીં મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ રહે છે. વાત્રક નદીના કાંઠે મહેમદાવાદ ખાતે 9મી માર્ચ, 2011 અને ફાગણ સુદ ચોથ, સંવત 2067ના રોજ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ આશરે રૂ. 14 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હોવાનું મનાય છે.

ગણેશ ભગવાનના મંદિરમાં ક્યાંય સિમેન્ટ કે લોખંડ નથી વપરાયું પરંતુ જમીનની 20 ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એક જ શિલા પર તે ઉભુ કરાયું છે. આ મંદિરમાં વિશ્વના અન્ય 10 જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. પાંચ માળના આ મંદિરમાં બીજા માળે ભક્તો માટે ભજન કિર્તન કરવાની સુવિધા તૈયાર કરવામાં આવી છે. અહીં સત્સંગ માટે ખાસ સત્સંગ હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

આ મંદિરના મુખ્ય આકર્ષણમાં ભગવાન ગણેશના દર્શનની સાથે સાથે અન્ય પણ આકર્ષણો છે. અહીં હર્બલપાર્ક, નાના અન્ય મંદિરો, યાત્રાળુઓ માટે નિવાસ સ્થળ તથા ભોજનાલય અને કાફેટેરિયાની સુવિધા છે. આ મંદિરમાં ગણેશજીની અખંડ જ્યોત પણ છે. સમગ્ર ભારતમાં આ એકમાત્ર મંદિર છે, જેના છેક ઉપરના માળે ગણેશજી બિરાજમાન છે, જ્યાં જવા ભક્તો માટે લિફ્ટની પણ સુવિધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *