ભારતને ટી-૨૦ના ઈતિહાસમાં પહેલી વખત ૧૦ વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. ટીમ ઈન્ડિયાની આ હારની સાથે વર્લ્ડ કપમાં તો પાકિસ્તાન સામેના જીતના સિલસિલાનો અંત આવ્યો. કેપ્ટન તરીકે કારકિર્દીનો આખરી ટી-૨૦ વર્લ્ડ કપ રમી રહેલા ભારતીય કેપ્ટન કોહલીએ પાકિસ્તાન સામેની મેચમાં અત્યંત પડકારજનક પરિસ્થિતિમાં ક્લાસિક અડધી સદી ફટકારી હતી. જોકે ટીમ ઈન્ડિયા ૭ વિકેટે ૧૫૧ રન જ કરી શકી હતી. જવાબમાં ભારતીય બોલરોનો દેખાવ પણ અત્યંત નિરાશાજનક રહ્યો હતો. પાકિસ્તાનના રિઝવાન અને બાબરની ઓપનિંગ જોડીએ ભારતીય બોલરો સામે અસરકારક બેટીંગ કરતાં માત્ર ૧૭.૫ ઓવરમાં જ વિના વિકેટે ૧૫૨ રન કરી જીત હાંસલ કરી હતી.
બોલિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાને છઠ્ઠા બોલરની ખોટ પડતી જોઈ શકાતી હતી. યુએઈની પીચો પર સ્પિનરો નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે, ત્યારે ભારતે ભુવનેશ્વર, શમી અને બુમરાહ એમ ત્રણ ફાસ્ટરોને સમાવીને પણ આશ્ચર્ય સર્જ્યું હતુ. ક્રિકેટ ચાહકોમાં ચર્ચા ચાલી હતી કે, ભારતીય ટીમ મેનેજમેન્ટે હાર્દિક પંડયાના સ્થાને શાર્દૂલ ઠાકુરને અને શમી કે ભુવનેશ્વરને સ્થાને અશ્વિનને રમાડવાની જરુર હતી.
ઈન્ડિયા 10 વિકેટથી હારી ગયા બાદ , ઈન્ડિયન ફેન્સે MEMES મારફત તેમની વ્યથા ઠાલવી હતી. ભારતીય ચાહકો ઉપરાંત ઘણા સેલેબ્સ પણ મેચ જોવા પહોંચ્યા હતા. સ્ટેડિયમમાં હાજર અક્ષય કુમાર, મૌની રોય, ઉર્વશી રૌતેલા અને શિખર ધવનના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.