વધતા જતા CNG ના ભાવના લીધે તેની સામે મિનિમમ રિક્ષા ભાડામાં કોઈ વધારો ન થતા રીક્ષાચાલકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. આ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા હવે રીક્ષાચાલકો લડી લેવાના મૂડમાં છે.રીક્ષા ચાલક એકતા મંચ સહિત ગુજરાતના રીક્ષાચાલક યુનિયન દ્વારા દિવાળી બાદ 15 અને 16 નવેમ્બરના રોજ હડતાળ કરશે.. આ હડતાળ 14 નવેમ્બરના રાત્રીના 12 વાગે શરૂ થશે અને 16 નવેમ્બરે રાત્રે 12 વાગે પૂર્ણ થશે. જેને લઇને અમદાવાદ, વડોદરા રાજકોટ, ભાવનગર સમગ્ર ગુજરાતમાંથી આ હડતાળને ટેકો જાહેર કરવામાં આવ્યો છે.જો હડતાળ થશે તો સમગ્ર ગુજરાતમાં 15 લાખ રીક્ષાના પૈડાં થંભી જશે.
CNGના ભાવમાં એકધારો વધારો થતો રહ્યો છે તેને જોતા રીક્ષાચાલકોએ હડતાળ પાડી રીક્ષાના ભાડામાં ઉચ્ચક વધારો કર્યો હતો. રીક્ષાચાલકોની હડતાળને ગંભીરતાથી લઈ RTO અધિકારીએ તમામ રીક્ષા યુનિયન સાથે બેઠક કરી હતી.આ બેઠકમાં મહત્વના મુદ્દાની ચર્ચા કરવામાં આવી. રીક્ષા યુનિયન આગેવાનોનું કહેવું છે કે સકારાત્મક વાતાવરણમાં આ બેઠક પૂર્ણ થઈ હતી. જેથી હાલ પૂરતા રીક્ષાચાલકોએ ભાડામાં કોઈ જ વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે.પરંતુ જો CNGના વધેલા ભાવ મુદ્દે સરકાર કોઈ ચોક્કસ પગલા નહીં લે તો રીક્ષા યુનિયનના આગેવાનો બેઠક કરી હડતાળ અંગે નિર્ણય કરશે એવું નક્કી કરવામાં આવ્યું હતું.