કોંગ્રેસના નેતા કિર્તી આઝાદ મંગળવારે પાટનગર ખાતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરીજીની હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. કિર્તી આઝાદની સાથે જનતાદળ(યુ)ના ભૂતપૂર્વ મહામંત્રી પવન વર્મા પણ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા.
હું મમતા બેનરજીના નેતૃત્વમાં કામ કરવાનું શરૂ કરી દઇશ અને હું ફિલ્ડમાં રહીને કામ કરીશ . ભાજપનું રાજકારણ ભાગલાવાદી છે અને અમે તેની સામે જોરદાર લડત આપીશું. આજે મમતા બેનરજી જેવા એવા નેતાની તાતી જરૂર છે જે દેશને સાચો દિશા નિર્દેશ કરી શકે એમ આઝાદે નવા પક્ષ સાથે જોડાયા બાદ પત્રકારોને કહ્યું હતું.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ભૂતપૂર્વ સલાહકાર પવન વર્માને 2020ની સાલમાં જનતાદળ(યુ)માંથી બરતરફ કરવામાં આવ્યા હતા. 2016 સુધી તે સંસદસભ્ય હતા અને તેમણે જનતાદળ(યુ)ના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પણ સેવા આપી હતી.
હાલના રાજકીય સંજોગોને જોતાં અને મમતા બેનરજીની ક્ષમતાને જોતાં મેં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ જવાનો નિર્ણય કર્યો હતો એમ વર્માએ કહ્યું હતું. જો કે આજે મોડી સાંજે કોંગ્રેસના અન્ય એક નેતા અશોક તંવર પમ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવાના હતા.
તંવરે 2019માં કોંગ્રેસને રામ રામ કરી દઇ પોતાનો અલગ પક્ષ રચ્યો હતો. અત્યાર સુધી મમતા બેનરજી જ્યારે જ્યારે પાટનગરની મુલાકાતે આવતા ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અચૂક મુલાકાત લેતાં હતા, પરંતુ આ વખતે તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોએ સંકેત આપ્યો હતો કે તેમના નેતા આ વખતે કદાચ સોનિયા ગાંધી સાથે મુલાકાત લેવાનું ટાળશે.
1983ની વર્લ્ડકપ ટીમના એક ખેલાડી એવા આઝાદે 2015ની સાલમાં દિલ્હીમાં અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનમાં ચાલી રહેલા વ્યયાપક ભ્રષ્ટાચાર બદલ ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી સામે ખુલ્લેઆમ આક્ષેપો કર્યા હતા જેના પગલે તેમને ભાજપમાંથી બરતરફ કરાવામાં આવ્યા હતા તેથી 2018ની સાલમાં તે કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આઝાદ બિહારની દરભંગા લોકસભા સીટ ઉપરથી ત્રણવાર સંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. 2014ની સામાન્ય ચૂંટણીમાં તેમણે ભાજપની ટિકિટ ઉપરથી ઉમેદવારી નોંધાવી હતી.