તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે જે રસ્તાના ઉદ્ઘાટનના દિવસેજ રસ્તા પર નારિયેળ વધેરવા જતા રસ્તો તૂટી ગયો પણ નારિયેળ ન તૂટ્યું. આવીજ શરમ જનક અને ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખોલતી ઘટના ઉત્તરપ્રદેશના બિજનોરમાં બની છે. અહીંયા સિંચાઈ વિભાગ દ્વારા નહેરને અડીને રુપિયા ૧.૧૬ કરોડના ખર્ચે ૭ કિલોમીટર લાંબો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે.આ દરમિયાન ૭૦૦ મીટરનો રસ્તો બની ગયા બાદ તેનુ ઉદઘાટન કરવાનો નિર્ણય લેવાયો હતો.
સ્થાનિક ધારાસભ્ય ગઈકાલે સાંજે ઉદઘાટન કરવા માટે ગયા હતા.પૂજા કર્યા બાદ તેમને પરંપરાના અનુસાર શ્રીફળ વધેરવા માટે અપાયુ હતુ. નવા રસ્તા પર તેમણે નારિયેળ તો વધેર્યુ પણ નવા બનેલા રસ્તાની ગુણવત્તા એટલી હલકી હતી કે, નારિયેળ તો ના તૂટ્યું પણ જે જગ્યાએ ધારાસભ્યે નારિયેળ વધેર્યુ હતુ તે જગ્યાએ ખાડો પડી ગયો.
આ જોઈને નારાજ ધારાસભ્યે ઉદઘાટન કરવાનુ માંડી વાળ્યુ હતુ.દરમિયાન સરકારી અધિકારીઓ પણ આ ફજેતો જોઈને ચોંકી ઉઠયા હતા.હવે રસ્તાના બાંધકામની ગુણવત્તાની તપાસ કરવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. અને રોડના નમુના લેબમાં મોકલવાની તંત્રે ખાતરી આપી છે.