કોરોના વાયરસ બાદ ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં સતત વધારો થતા લોકોની ચિંતામાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે આજે વિદેશમાંથી ૧૪ ફ્લાઇટમાં ૨૦૦૦થી વધારે મુસાફરો ઉતરશે. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટમાં આગામી ૨૪ કલાકમાં જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ આવવાની છે તેમાં ‘હાઇ રિસ્ક કન્ટ્રી’ લંડન-સિંગાપોરનો પણ સમાવેશ થાય છે. ગયા શુક્રવારે આ ફ્લાઇટ લંડનથી અમદાવાદ આવી ત્યારે તેમાં એક મહિલા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.
બ્રિટન-સિંગાપોર હાઇ રિસ્ક દેશોમાં સામેલ છે. જેના પગલે આ ફ્લાઇટના તમામ મુસાફરોનો RTPCR ટેસ્ટ કરવામાં આવશે. RTPCR ટેસ્ટના રીપોર્ટ આવ્યા બાદ જ આ મુસાફરોને જવા દેવામાં આવશે. લંડન, સિંગાપોર સિવાયના મુસાફરોને રેન્ડમલી RTPCR ટેસ્ટ બાદ જવા દેવાશે. આજે એક જ દિવસમાં ૨૦૦૦ જેટલા વિદેશથી આવનારા મુસાફરોના આગમનને પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે.
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં રેપીડ RTPCR જેનો રીપોર્ટ માત્ર ૧ કલાકમાં જ આવી જાય છે.ઉપરાંત અન્ય એક નોર્મલ RTPCR ટેસ્ટ જેનો રિપોર્ટ ૮ થી ૧૦ કલાકે આવે છે. રેપિડ RTPCR નો ચાર્જ ૨૭૦૦ અને નોર્મલ RTPCRનો ચાર્જ ૪૦૦ વસુલવામાં આવે છે. કોઈ મુસાફરને કોવિડ ટેસ્ટ કરવી જલ્દી બહાર નીકળવું હોય તો તેને ૨૭૦૦ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. જો કોઈ મુસાફર આટલી મોટી રકમ ના ખર્ચે તો તેને ૮ થી ૧૦ કલાક ટર્મિનલ પર ફરજીયાત બેસી રહેવું પડે. એટલે મજબૂરીના કારણે ૨૭૦૦ ચુકવવા પડે છે.
અમદાવાદ એરપોર્ટ પર ત્રણ પ્રકારે કામગીરી ચાલે છે. જેમાં સ્ક્રીનીંગ ડોક્યુમેન્ટેશનની કામગીરી જિલ્લા આરોગ્ય કર્મચારીને સોપવામાં આવી છે. જ્યારે કોઈ મુસાફરનો રીપોર્ટ પોઝિટિવ આવે તો તેને ખસેડવાની કામગીરી AMC ને સોંપવામાં આવી છે. તે સિવાયની કામગીરી અમદાવાદ એરપોર્ટ દ્વારા કરવામાં આવે છે. એરપોર્ટ મીડિયમ રિસ્ક વાળા દેશમાંથી આવતા મુસાફરોના ૨ ટકાના ધોરણે રેન્ડમ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એટલે કે, ૧૦૦ મુસાફરોમાંથી કોઈપણ બે મુસાફરને પસંદ કરી તેના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવે છે. કયા મુસાફરના ટેસ્ટ કરવા તે એરપોર્ટ ઓથોરિટીના લોકો પસંદ કરે છે. તેવામાં એ પ્રશ્ન ઉભો થાય છે કે રેન્ડમલી સિલેક્ટ કરવામાં જો કોઈ પોઝિટિવ કે માઈલ્ડ સીમટમ્સ વાળા મુસાફર શહેરમાં પ્રવેશ કરે તો તેનું શું..?