પોર્નોગ્રાફી કેસમાં સંડોવાયેલ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ પોર્નોગ્રાફી કેસમાં સમગ્ર ઘટના અંગે મૌન તોડ્યું હતું. અને પોર્ન કન્ટેન્ટના પ્રોડક્શન તથા ડિસ્ટ્રીબ્યૂશન સાથે જોડાયેલો હોવાની વાતને નકારી આ આખી ઘટનાને ‘વિચ હંટ’ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ કુન્દ્રાની જુલાઈમાં પોર્ન કેસમાં ધરપકડ થયા બાદ સપ્ટેમ્બરમાં જામીન મળ્યા હતા. હાલમાં જ સુપ્રીમ કોર્ટે રાજ કુન્દ્રાની આગોતરા જામીન મંજૂર કર્યા હતા અને ચાર અઠવાડિયા સુધી તેની ધરપકડ થઈ શકશે નહીં.
સમગ્ર ઘટના અંગે રાજ કુન્દ્રાએ શું કહ્યું ?
ખાનગી વેબ પોર્ટલના રીપોર્ટ અનુસાર, રાજ કુંદ્રાએ કહ્યું હતું કે, ‘બહુ જ વિચાર્યા બાદ, અનેક ખોટા તથા બિનજવાબદાર નિવેદનો, રિપોર્ટ્સ વાંચ્યા અને જોયા બાદ મને લાગ્યું કે મારા મૌનને મારી નબળાઈ સમજવામાં આવી. હું મારા જીવનમાં ક્યારેય પોર્નોગ્રાફીમાં સામેલ થયો નથી. આ સમગ્ર ઘટના બીજું કંઈ નહીં, પરંતુ વિચ હંટ છે. હું દરેક કેસનો સામનો કરવા તૈયાર છું. મને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે અને અહીંયા સત્યની જીત થશે. દુર્ભાગ્યથી મીડિયા તથા મારા પરિવારે પહેલેથી જ મને દોષી જાહેર કરી દીધો. ક્યાંકને ક્યાંય મારા માનવીય તથા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થયું અને આ જ કારણે મારે ઘણું જ સહન કરવું પડ્યું. ટ્રોલિંગ, નેગેટિવિટી તથા ટોક્સિક પબ્લિક ઓપિનિયને મને નબળો બનાવવાનો પ્રયાસ કર્યો હતો.’
રાજ કુન્દ્રાએ પોતાની પ્રાઈવસી અંગે જણાવ્યું કે, ‘હું શરમને કારણે મારો ચહેરો છુપાવતો નથી, પરંતુ ઈચ્છું છું કે આ સતત મીડિયા ટ્રાયલની સાથે મારી પ્રાઇવસીમાં દખલગીરી કરવામાં ના આવે. મારી પ્રાથમિકતા હંમેશાંથી મારો પરિવાર રહ્યો છે અને આ સમયે અન્ય કોઈ બાબત મહત્ત્વની રહેતી નથી. હું માનું છું કે દરેક વ્યક્તિનો ગરિમા સાથે જીવવાનો અધિકાર છે. મારી પ્રાઇવસીનું સન્માન કરવા માટે આભાર.’
ઉલ્લેખનીય છે કેશિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ૧૯ જુલાઈના રોજ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 20 સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા. રાજ કુંદ્રા બીજા દિવસે ૨૧ સપ્ટેમ્બરે જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવતા સમયે રાજ કુંદ્રા એકદમ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાંથી આંસુ આવી ગયાં હતાં. રાજ કુંદ્રાએ સોશિયલ મીડિયા અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ તથા ટ્વિટર ડિલિટ કરી નાખ્યાં છે.