વિશ્વભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેવામાં WHO વિશ્વના દરેક દેશોને ચેતવણી આપી છે. WHOના જણાવ્યા મુજબ ઓમિક્રોન જેટલો ઝડપથી ફેલાશે એટલા જ ઝડપથી નવા વેરિયન્ટ આવવાની સંભાવના છે, જે ખતરનાક સાબિત થઈ શકે છે. નવા વેરિયન્ટ જીવલેણ પણ બની શકે છે. અગાઉ મળેલા કોવિડ વેરિયન્ટ્સની તુલનામાં ઓમિક્રોન ઓછો ઘાતક છે. એવામાં મહામારી સમાપ્ત થવા અને જન-જીવન ફરી સામાન્ય થાય એવી આશા ઊભી થઈ છે.
WHOના સિનિયર ઈમર્જન્સી ઓફિસર કેથરીન સ્મોલવુડનું કહેવું છે કે ઓમિક્રોનનું ઝડપી સંક્રમણ ગંભીર પરિણામો આપી શકે છે. ઈમર્જન્સી ઓફિસર કેથરીનના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન આ સમયે પણ ઘાતક છે, એનાથી મોત પણ થઇ શકે છે. મોતનો દર ડેલ્ટાથી થોડો ઓછો હોઈ શકે છે, પરંતુ કોને ખબર આગળનો વેરિયન્ટ કેટલો ઘાતક આવશે. ભવિષ્યમાં નવા ખતરનાક વેરિયન્ટ આવી શકે છે.
WHOના અધિકારીએ જણાવ્યું હતું કે આપણે ખૂબ જ ખતરનાક તબક્કામાં છીએ. પશ્ચિમ યુરોપમાં સંક્રમણનો દર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. એ કેટલું ઘાતક હશે એ વિશે કંઈ કહી શકાય નહીં. જોકે ડેલ્ટાની સરખામણીમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ માટે હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઘણો ઓછો છે. તેમ છતાં સંક્રમિતોની સંખ્યાને લઈને સ્થિતિ ચિંતાજનક છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે ભારતમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા ૨,૦૦૦ને પાર થઇ ગઈ છે. દેશમાં અત્યારસુધીમાં કુલ ૨,૨૨૦ ઓમિક્રોન સંક્રમિતોની પુષ્ટિ થઈ છે. એ જ સમયે છેલ્લા ૨૪ કલાકમાં ૨૭૨ નવા કેસ નોંધાયા છે. ઓમિક્રોનનું સંક્રમણ કેન્દ્રશાસિત પ્રદેશો સહિત દેશનાં ૨૪ રાજ્યમાં ફેલાયું છે.
મહારાષ્ટ્રમાં નવા વેરિયન્ટના સૌથી વધુ ૬૫૩ કેસ નોંધાયા છે. દિલ્હી ૩૮૨ સંક્રમિત સાથે બીજા સ્થાને છે. એ સિવાય કેરળ, કર્ણાટક અને રાજસ્થાનમાં ઓમિક્રોનના મહત્તમ કેસ મળ્યા છે.