આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે મંગળવારે જાણકારી આપતા જણાવ્યું હતું કે ભગવંત માન પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે.
અરવિંદ કેજરીવાલે “મિસ કોલ” દ્વારા ચલાવાયેલ “જનતા ચુનેગી અપના સીએમ” અભિયાનના પરિણામ ની જાહેરાત એક જનસભામાં કરી હતી. પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીપદનો ચહેરો પસંદ કરવાના અભિયાનના ભાગરૂપે પાર્ટીને ૨૧.૫૯ લાખ પ્રતિસાદ મળ્યા હતા.
કેજરીવાલે પત્રકારોને જણાવ્યું હતું કે, ૨૧.૫૯ લાખ પ્રતિભાવોમાં મારા નામ સહિત ઘણા લોકોના નામ આવ્યા. મેં પહેલેથી જ કહ્યું હતું કે હું રેસમાં નથી. અમે તે મતો (જેમાં કેજરીવાલનું નામ છે) અમાન્ય જાહેર કરી રહ્યા છીએ. બાકીના અન્ય વોટમાંથી ૯૩.૩ ટકા લોકોએ સરદાર ભગવંત માનનું નામ આપ્યું હતું. બીજી તરફ નવજોત સિંહ સિદ્ધુ (કોંગ્રેસના પંજાબ યુનિટ ચીફ)નું નામ બીજા નંબરે ૩.૧૬ ટકા લોકોએ આપ્યું હતું.આ જાહેરાત બાદ માન ભાવુક થઈ ગયા હતા આ કાર્યક્રમમાં માનની માતા અને બહેન પણ ઉપસ્થિત હતા. પંજાબમાં મુખ્ય સ્પર્ધક પક્ષોમાં AAP એકમાત્ર એવી પાર્ટી છે જેણે પોતાના મુખ્યમંત્રી પદની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ૧૧૭ સભ્યોની પંજાબ વિધાનસભા માટે ૨૦ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને ૧૦ માર્ચે મતગણતરી કરવામાં આવશે.