ગણતંત્ર દિવસ નિમિત્તે રાજપથ ખાતે આયોજિત પરેડમાં દેશના વિભિન્ન રાજ્યોની ઝાંકીઓ નીકળતી હોય છે. આ વર્ષે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રાજપથ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી ખૂબ જ ખાસ રહેશે. કારણ કે, આ વખતે ગણતંત્ર દિવસ પરેડમાં કેટલીક વસ્તુઓ પહેલી વખત જોવા મળશે અને કેટલીક પરંપરાઓમાં ફેરફાર દેખાશે.
આ ખાસ પ્રસંગે દિલ્હીમાં સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. દેશ આ વર્ષે આઝાદીના 75 વર્ષ પણ પૂરા કરી રહ્યો છે માટે તેની ‘આઝાદીના અમૃત મહોત્સવ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.
લદ્દાખ ખાતે ભારત-તિબેટ સીમા પોલીસ (ITBP)ના હિમવીર જવાનોએ 15,000 ફૂટની ઉંચાઈએ -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ભારતનો 73મો ગણતંત્ર દિવસ ઉજવ્યો હતો.
આ વર્ષે 73મા ગણતંત્ર દિવસ સમારંભમાં 15 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને પ્રવેશ નહીં મળે. પરેડ જોવા આવનારા લોકો માટે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધેલા હોય તે અનિવાર્ય છે. તે ઉપરાંત કોવિડ વેક્સિન સર્ટિફિકેટ પણ સાથે રાખવું પડશે.
PM મોદીએ પાઠવી શુભેચ્છા
73મા ગણતંત્ર દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, આપ સૌને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ. જય હિંદ!
તે સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર, યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓએ 73મા ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી.