ગુજરાતના ૨ લાખ શિક્ષકોને ફાયદો થાય તેવા નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગે લીધો છે. સરકારે વિદ્યા સહાયકો, પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યો છે. ૧૦ વર્ષ પહેલાં બદલી સંદર્ભે જે નિયમો ઘડવામાં આવ્યા હતા તેને બદલી નાંખ્યા છે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘના પ્રમુખ ભીખાભાઇ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સહિત મંડળના હોદ્દેદારો સાથે શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ, પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશ જોષી સહિતના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે.
નવા નિયમો અંગે તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી જે શિક્ષકોની બદલી થઇ ગઈ છે પરંતુ ૧૦ % કરતાં વધુ મહેકમ ખાલી પડતું હોવાના કારણે છૂટા થઇ શક્યાં નથી તેવા બદલી પામેલા તમામ શિક્ષકોને ખાસ કિસ્સા તરીકે છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે શાળામાં બદલીવાળા શિક્ષકોને છૂટા કરવાના કારણે શૂન્ય શિક્ષકવાળી શાળા થતી હોય ત્યાં છેલ્લે છૂટા થવા પાત્ર શિક્ષકને નવા શિક્ષક આવે ત્યારે જ છૂટા થવાનું રહેશે.
છેલ્લા ૩ વર્ષમાં બદલી થયેલી હોય અને છૂટા ન કરાયા હોય તેવા તમામ શિક્ષકોને પણ આ નિર્ણય લાગુ પડશે. પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો ૨૩ મે ૨૦૧૨ના ઠરાવથી નિયત થયા હતા. માન્ય શિક્ષક સંગઠનો તેમજ શિક્ષકોનું હિત ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો તૈયા2 ક2વામાં આવ્યા છે,
જે અંતર્ગત અત્યાર સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના ૪૦ % શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવતો હતો તેના બદલે નવા નિયમો મુજબ જે તે જિલ્લામાં ખાલી ૧૦૦ % જગ્યા પર જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે.
જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા તે જોગવાઇ દૂર કરવામાં આવેલ છે એટલે કે ‘વતન’ શબ્દ દૂર કરવામાં આવ્યો છે. એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે શિક્ષકો વધુ બદલીથી અન્ય શાળામાં ગયેલા છે તેવા શિક્ષકોને જો તેઓ મૂળ શાળામાં જગ્યા ખાલી પડે તો બે વધઘટ બદલી કેમ્પ સુધી મૂળ શાળા ઇચ્છે તો માંગી શકે.
૧૦ વર્ષ એક જ જગ્યાએ નોકરી કરવાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવા શિક્ષકો ૫ વર્ષ પછી જિલ્લા ફેરબદલી કે જિલ્લા અરસ પરસ બદલી માટે અરજી કરી શકશે. એટલું જ નહિ, જે સરકારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ/પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને સરકારી કર્મચારીના બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે.
પતિ અને પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સરકારના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે. તે ઉપરાંત બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે. જેથી શિક્ષકોને બિનજરૂરી કોર્ટ કેસ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થશે નહીં.