અમદાવાદ જિલ્લામાં મોરૈયા-મટોડા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન ઉથલાવીને દુર્ઘટના સર્જવાના એક કાવતરાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું છે. અજાણ્યા શખ્સોએ બંને રેલવે સ્ટેશન વચ્ચે રેલવે કિ.મી. નં-૩૭/૦૮થી ડાબી બાજુના પાટા ઉપર ગ્લુ જોઈન્ટથી રેલવે કિ.મી. નં- ૩૮/૦૦ સુધીના આશરે ૧૦૦ મીટરના ગાળામાં ૧૩૪ સલેપાટના કુલ ૨૬૮ એન્કર (ઈ.આર.સી) ઉખાડી નાખ્યા હતા.
પ્રાથમિક દૃષ્ટિએ કોઈએ આર્થિક લાભ માટે એન્કર ઉખાડી નાખ્યા હોવાનું જણાઈ રહ્યું હતું પરંતુ તપાસ દરમિયાન આરપીએફને થોડે દૂર ઝાડી-ઝાંખરા અને પાણીના ખાબોચીયાઓમાંથી એન્કર મળી આવતાં બદઈરાદાનો ખુલાસો થયો હતો. રેલવેમાં ટ્રેકમેન તરીકે નોકરી કરતાં બાવળા તાલુકાના મોરૈયા ગામના નિવાસી અહમદહુસેન અને તેમના સાથે કી-મેન તરીકે પેટ્રોલિંગ માટે ફરજ બજાવતા મોરૈયા નિવાસી મદનલાલને સોમવારે તા. ૨૧/૦૨/૨૦૨૨ના રોજ સવારે ડ્યુટી દરમિયાન પાટા પર એન્કર (ઈ.આર.સી) ન હોવાની જાણ થઈ હતી.
તેઓ રેલવે ટ્રેક પર એન્કર (ઈ.આર.સી), પાટાના જોઈન્ટ વેલ્ડિંગ, પોઈન્ટ્સના બોલ્ટ, જોડપટ્ટીના બોલ્ટ, સલેપાટ, રેલ ફ્રેક્ચર અને ટ્રેક પર પથ્થર ચેક કરવા સહિતની કામગીરી કરતા હતા તે દરમિયાન સવારે ૦૮:૨૦ કલાકે આ અંગેની જાણ થઈ હતી. ત્યાર બાદ તેમણે મોરૈયા રેલવે સ્ટેશનમાં જાણ કરી હતી અને મટોડા રેલવે સ્ટેશનના ઓન ડ્યુટી સ્ટેશન માસ્ટરને પણ જાણ કરવામાં આવી હતી. તેમણે ધોળકા તરફથી આવી રહેલી માલગાડીને સવારે ૦૯:૦૦ કલાકે મટોડા રેલવે સ્ટેશન ખાતે ઉભી રખાવી દીધી હતી જેને લાઈન ક્લીઅર થયા બાદ 11:25 કલાકે રવાના કરવામાં આવી હતી.