વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ બેંકોને ૧૮ હજાર કરોડ પરત આપ્યા

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ઇડી દ્વારા કુલ ૪૭૦૦ કેસોની તપાસ ચાલી રહી છે જેમાં અત્યાર સુધીમાં માત્ર ૩૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ રોકથામ કાયદા અંતર્ગત કરવામાં આવી છે જેનો અમલ ૨૦૦૨માં કરવામાં આવ્યો હતો. સાથે જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સી દ્વારા બેંકોને અત્યાર સુધીમાં કુલ ૧૮ હજાર કરોડ રૂપિયા પરત આપવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીએ કુલ લેણામાંથી ૧૮૦૦૦ કરોડ રૂપિયા પરત કર્યા છે. સુપ્રીમ કોર્ટમાં મની લોન્ડરિંગના કુલ ૬૭,૦૦૦ કરોડ રૂપિયાના મામલા ચાલી રહ્યા છે. હાલ ઇડી દ્વારા કુલ ૪૭૦૦ કેસોની તપાસ ચાલી રહી છે. ગત પાંચ વર્ષ દરમિયાન ઇડી દ્વારા તપાસના નવા મામલા વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન ૧૧૧ હતા જે ૨૦૨૦-૨૧ દરમિયાન વધીને ૯૮૧ પર પહોંચ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં હાલ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ઇડીને મળેલી વ્યાપક શક્તિઓને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે. ઇડીને પીએમએલએ અંતર્ગત તપાસ, જપ્તી, સર્ચ અને સંપત્તિ કબજે કરવાના અધિકારો મળ્યા છે.

તુષાર મેહતાએ બેંચને કહ્યું હતું કે વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૨૧  દરમિયાન ઇડીએ તપાસ માટે પીએમએલએના માત્ર ૨૦૮૬ મામલા સ્વિકાર કર્યા હતા. જ્યારે આવા મામલાઓ માટે ૩૩ લાખ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.

વિજય માલ્યા:- રૂ. ૭૫૦૫ કરોડ, મેહુલ ચોકસી:- રૂ. ૭૦૮૦ કરોડ અને નિરવ મોદી:- રૂ. ૬૪૯૮ કરોડ એમ કુલ રૂ. ૨૧૦૮૩ કરોડ રૂપિયા લેવાના છે.

વિદેશોમાં મની લોન્ડરિંગના કેસો કેટલા દાખલ થાય છે તે અંગે પણ તેમણે જાણકારી આપી હતી અને કહ્યું હતું કે ભારતમાં આ કાયદા અંતર્ગત બહુ ઓછા કેસો દાખલ થાય છે જ્યારે બ્રિટનમાં દર વર્ષે મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ૭,૯૦૦ મામલા, અમેરિકામાં ૧૫૩૨, ચીનમાં ૪૬૯૧, ઓસ્ટ્રિયામાં ૧૦૩૬, હોંગકોંગમાં ૧૮૨૩, બેલ્જિયમમાં ૧૮૬૨, રશિયામાં ૨૭૬૪ મામલા દાખલ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *