રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મહેન્દ્ર ફળદુએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી રાખી હતી અને તે દરેક અખબારમાં મોકલવામાં આવી હતી. બાદમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી તેમજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ થતાની સાથે જ તેમના મિત્ર વર્તુળો તેમજ રાજકીય આગેવાનો પહોંચી ગયા હતા અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવી કાર્યવાહી હાથ ધરી છે. સુસાઈડ નોટરૂપી પ્રેસ નોટમાં તેમને આપઘાત પાછળ ઓઝન ગ્રુપ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે. અને લખ્યું છે કે, મારી 33 કરોડની મિલકતના દસ્તાવેજો કરી આપતા નથી.
મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટરૂપી પ્રેસનોટ લખી હતી જે દરેક અખબારોમાં મોકલી હતી. આ પ્રેસ નોટમાં તેમને તેમના આપઘાત પાછળ ઓઝોન ગ્રુપ જવાબદાર હોવાનું જણાવ્યું છે. સાથે જ અમિત ચૌહાણ, એમ.એમ.પટેલ , અતુલ મહેતા અને અમદાવાદના લોકો જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે.
સુસાઇડ નોટરૂપી પ્રેસ નોટમાં વધુમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેરનાં આગેવાન, સિનિયર એડવોકેટ, બિલ્ડર અને પાટીદાર આગેવાન એવા મહેન્દ્રભાઈ કે. ફળદુએ ‘સંકે ધી બેસ્ટ પુ એ કાપે’ રાજકોટ શહેરનાં બિલ્ડર એમ.એમ. પટેલ (સુરેજા), અમિતભાઈ ચૌહાણ, અતુલભાઈ મહેતા તથા અમદાવાદનાં ઓઝોન ગ્રુપનાં જયેશકુમાર કાન્તિલાલ પટેલ, દીપક મણીલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પથકુમાર કાન્તિલાલ પટેલ સાથે મળીને અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાનાં ગામ બલદાણામાં આશરે પાંચેક લાખ વાર જગ્યામાં ‘ધ તસ્કની બીચ સિટી’નાં નામનો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે.
ઓઝોન ગ્રુપે આર્થિક, માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો
ઓઝોન તસ્કની કંપનીના ડાયરેક્ટરોએ જમીનનાં દસ્તાવેજો ન કરી આપવા પડે તે માટે મહેન્દ્ર ફળદુ તથા તેના જેવા રોકાણકારોને ખૂબ જ આર્થિક, શારીરિક, માનસિક ત્રાસ આપી રહ્યા છે, રોકાણકારોની મોટી રકમોનું રોકાણ હોવાથી ઉકેલ લાવવો જ મુશ્કેલ હતો. કંપનીનાં ડાયેરક્ટોનાં કારણે મહેન્દ્ર ફળદુની આર્થિક સ્થિતિ, નાણાકીય સ્થિતિ બગડી ગઈ છે, મહેન્દ્ર ફળદુ મા૨ફતે બુકિંગ કરાવેલ લોકોને કંપની વતી મહેન્દ્ર ફળદુએ નાણા ચૂકવ્યા છે તેમ છતાં કંપની અને તેનાં ડાયરેક્ટરો નીંભર થઈને તે રકમ ચૂકવતાં નથી કે કોઈ જવાબ આપતાં નથી. કંપની અને તેના ડાયરેક્ટરોનાં આવા વ્યવહારોનાં કારણે બુકિંગ કરનારાઓ પૈકી ત્રણથી ચાર વ્યક્તિ અવસાન પામ્યા છે, તેની માટે પણ કંપની અને તેનાં ડાયરેક્ટરો પાસે પૈસા ચૂકવવા માટે વિનંતી કરી હતી તેમ છતાં કંપની અને તેનાં ડાયરેક્ટરોએ રકમ ચૂકવી નહીં કે તેમની અંતિમવિધિમાં પણ રકમ ચૂકવી નહીં. ત્યારે આવા લોકોએ મહેન્દ્ર ફળદુ મારફત બુકિંગ કરાવેલ હોવાથી તેઓ મહેન્દ્ર ફળદુની ઓફિસે આવે છે, મહેન્દ્રભાઈ ફળદુની ધંધાની જગ્યા ઉપર આવે છે અને ખૂબ જ હેરાન-પરેશાન કરે છે. કંપની અને તેનાં ડાયરેક્ટરોનાં ગેરયદેસર કૃત્યનાં કારણે રોકાણકારો મહેન્દ્ર ફળદુને ધાક ધમકીઓ, ત્રાસ આપે છે.