ગુજરાત કોંગ્રેસના પ્રદેશ માળખા અને શહેર અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજકોટ કોંગ્રેસના પાટીદાર નેતાઓને સ્થાન ન મળતા નારાજગીનો સૂર ઉઠ્યો હતો. આ માટે કોંગ્રેસના પાટીદાર નેતાઓએ જ્યાં સુધી સંગઠનમાં યોગ્ય સ્થાન ન મળે ત્યાં સુધી કોંગ્રેસના તમામ કાર્યક્રમો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. આ વિરોધની વચ્ચે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરી રહેલા પાટીદાર નેતાઓને મળવા માટે બોલાવ્યા હતા. અને યોગ્ય પ્રતિનિધીત્વ આપવાની બાંહેધરી આપીને વિરોધ શાંત પાડવાની કોશિષ કરી હતી.
રાજકોટ કોંગ્રેસના પાટીદાર નેતાઓ સાથે ગુરૂવારે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે મુલાકાત કરી હતી અને પાટીદાર નેતાઓની રજૂઆતને સાંભળી હતી. પ્રદેશ પ્રમુખે આગામી દિવસોમાં પ્રદેસ સંગઠનમાં રાજકોટના પાટીદાર નેતાઓને સ્થાન આપાવની બાંહેધરી આપી હતી અને ટૂંક સમયમાં એક નવી યાદી જાહેર કરવાનું કહ્યું હતું.
કોંગ્રેસના પાટીદાર નેતાઓની નારાજગી હજુ દુર થઇ નથી ત્યાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્નનીલ રાજ્યગુરૂ પણ કોંગ્રેસથી નારાજ છે અને આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસની કામગીરીથી નારાજ હોવાની વાત છે અને એટલા માટે જ તેને સમજાવવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે.