ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ ખાતે આવેલા વરદાયનિ માતાજી મંદિરને કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના થકી આ મંદિરનો વિકાસ એક આસ્થા કેન્દ્ર સાથે ટુરિઝમની રીતે આગામી સમયમાં કરવામાં આવશે, તેવું આજરોજ વરદાયનિ માતાજી મંદિરના ટ્રસ્ટી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું.
વરદાયનિ માતાજી મંદિરના ટ્રસ્ટી નિતીનભાઇ પટેલે વઘુમાં જણાવ્યું છે કે, રાજયના સપૂત અને દેશના પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને સૂચનથી કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ આ મંદિરનો વિકાસ કરવામાં આવનાર છે. આ યોજના થકી આ મંદિર ખાતે તેના બ્યુટીફિકેશન, ગાર્ડન, રહેવાની સુવિઘા, પાર્કિગ, ભોજન સહિત તમામ જરૂરિયાતને લક્ષીમાં રાખી વિકાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની આ યોજના થકી વરદાયનિ માતાજીનું મંદિર દેશભરમાં આસ્થાના કેન્દ્ર સાથે એક પર્યટક સ્થળ બની રહેશે.
તેમણે અષાઢી બીજના પાવન પર્વે ગામમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં યોજાનાર કામની વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.૦૧, જુલાઇ – અષાઢી બીજના દિવસે રૂપાલ ગામના તળાવ બ્યુટિફિકેશન કામનું ખાતમુર્હૂત કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહના હસ્તે થનાર છે. આ સાથે રૂપાલથી નજીક આવેલા અને વાસણિયા મહાદેવથી વિશ્વ વિખ્યાત બનેલા વાસણ ગામના તળાવનું પણ બ્યુટિફિકેશન કાર્યનો આરંભ પણ આ સંકુલમાંથી કેન્દ્રીય મંત્રી કરાવશે. તેમણે જણાવ્યું હતું કે, શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાન, રૂપાલ દ્વારા કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહનો રજતતુલા સન્માન સમારોહનું પણ તા. ૦૧, જુલાઇના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રીને દાતાઓ દ્વારા તેમને તેમના વજન જેટલા ચાંદીથી તોલવામાં આવશે. મંત્રી આ તમામ ચાંદી મંદિરમાં દાન સ્વરૂપે અર્પણ કરશે. આ તમામ ચાંદીના રૂપિયા મંદિરના વિકાસ કાર્યમાં ખર્ચે કરવામાં આવશે. હાલમાં દાતાઓ દ્વારા ૧૨૦ કિલોગ્રામ ચાંદી નવ દાતાઓ દ્વારા આપવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યુ કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગામની આસપાસના વિસ્તારમાં ૭૫ વૃક્ષોનું વાવેતર કરી તેની જાળવણી કરી મોટા કરવાનું ઉમદા કાર્ય પણ કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા કરવામાં આવશે. તેમજ ગામની વડીલ મહિલાઓ દ્વારા કેન્દ્રીય મંત્રીને આર્શીવાદ પાઠવવામાં આવશે. રૂપાલ ગામ ખાતે ભરાતા પલ્લી મેળાની પ્રતિકૃતિ પલ્લી આપવામાં આવશે.