સ્થાનિક વરસાદી સ્થિતિ અનુરૂપ શૈક્ષણિક કાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ સત્તાધિકારી એટલે કે, સ્થાનિક વહીવટી તંત્ર યોગ્ય નિર્ણય લઈ શકશે
રાજ્યમાં વરસાદી વાતાવરણને કારણે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક વરસાદી સ્થિતિ અનુરૂપ શૈક્ષણિક કાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ સત્તાધિકારી એટલે કે, સ્થાનિક વહીવટી તંત્ર યોગ્ય નિર્ણય લઈ શકશે.
વરસાદી વાતાવરણની સ્થિતિમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખવું કે બંધ રાખવું તે બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદી વાતાવરણમાં સ્થાનિક સ્થિતિ અનુરૂપ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ તથા કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં યથાસ્થિતિ જિલ્લા/શહેર સ્તરે કલેકટર, મ્યુનિ.કમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નિર્ણય લઈ શકશે. ઉપરાંત સબંધિત જિલ્લા અથવા શહેરના સ્થાનિક વહીવટીતંત્રના પરામર્શમાં કોઈ ચોક્કસ વિસ્તાર અથવા તમામ વિસ્તાર માટે સબંધિતો સાથે પરામર્શ કરી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખવા, બંધ રાખવા, ફરી શરૂ કરવા અંગે જરૂરી નિર્ણય લઈ શકશે.