મુખ્યમંત્રીએ શેલ્ટર હોમની મુલાકાત લઈ અસરગ્રસ્ત નાગરિકો સાથે સંવાદ કર્યો અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી.
ભારે વરસાદના પગલે સર્જાયેલી વિકટ પરિસ્થિતિનું મુખ્યમંત્રી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીએ મંગળવારે વરસાદથી પ્રભાવિત થયેલા નવસારી જિલ્લાના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોની નિરીક્ષણ મુલાકાત દરમિયાન મોચી સમાજની વાડી, કાલિયાવાડીના શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને તેમને મળતી ભોજન તથા આરોગ્ય સેવાઓની જાણકારી મેળવી હતી
મુખ્યમંત્રીએ મંગળવારે નવસારી કૃષિ યુનિવર્સિટીની એન.એમ. કોલેજ સ્થિત સભાગૃહમાં જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોઈ પણ કુદરતી આપત્તિ કે વિકટ સમયમાં અસરગ્રસ્તોની પડખે ઉભી છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે અને નાગરિકોના જાનમાલની સલામતી માટેના તકેદારીના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે
મુખ્યમંત્રીએ કંટ્રોલ રૂમ, બચાવ રાહત ટુકડીઓ, પૂરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી સુવિધાઓ, શેલ્ટર હોમ્સ, ફૂડ પેકેટની વ્યવસ્થાઓ સહિતની તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. બેઠકમાં મુખ્ય સચિવ પંકજકુમારે નાગરિકોને ડેમ સાઈટ, દરિયાકિનારે ન જવા અપીલ કરી હતી. તેમણે દરિયાકિનારે જતા લોકોને અટકાવવા સંબંધિત માર્ગો પર અવરજવર પ્રતિબંધિત કરવા આદેશ આપ્યો હતો.
વર્તમાન વરસાદી સ્થિતિને અનુલક્ષીને નવસારી જિલ્લો રેડ એલર્ટ પર છે, સમગ્ર વહીવટી તંત્ર દ્વારા લોકોના જાનમાલના રક્ષણ માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં NDRF ની બે ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશનની કામગીરીમાં પણ નાગરિકોનો પૂરતો સહયોગ મળી રહ્યો છે. નવસારીમાં ૧૩ શેલ્ટર હોમમાં ૨,૦૦૦ જેટલા અસરગ્રસ્ત નાગરિકો આશ્રય લઈ રહ્યા છે.
સમીક્ષા બેઠકમાં આદિજાતિમંત્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રભારીમંત્રી અને પાણી પુરવઠા, મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી જીતુભાઈ ચૌધરી, ધારાસભ્ય પિયુષ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, સુરત રેન્જના એડિશનલ IGP, DSP રાજકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય તેમજ જિલ્લા વહીવટીતંત્ર, ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.