સમગ્ર જિલ્લામાં ૩૭,૮૪૦ પશુઓ લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના ભૂજ ખાતે લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત પશુધન માટેના આઈસોલેશન સેન્ટર તથા પશુ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી અને માવજતની કામગીરીનું જાતનિરીક્ષણ કર્યું. તેમણે પશુઓની સારવાર કરી રહેલા પશુ ચિકિત્સક અને અન્ય અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી. કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. સમગ્ર જિલ્લામાં ૩૭,૮૪૦ પશુઓ લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત થયા છે. અસરગ્રસ્ત પશુઓને ક્વોરન્ટાઈન કરીને આઇસોલેશનમાં રાખવા માટે જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ૨૬ જેટલાં આઈસોલેશન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે.
આ આઈસોલેશન સેન્ટરમાં અસરગ્રસ્ત પશુઓની સારવાર થઈ રહી છે. કચ્છ જિલ્લામાં લમ્પી સ્કીન ડિસીઝને વધુ ફેલાતો અટકાવવા પશુપાલન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા અત્યાર સુધીમાં સવા બે લાખથી વધુ પશુધનનું રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં જે ૨૦ જિલ્લાઓનાં પશુધનમાં આ રોગચાળો જોવા મળ્યો છે, તે જિલ્લાઓમાં અત્યાર સુધીમાં ૧૦ લાખ ૬ હજારથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાએ આ હેતુસર ૬ લાખથી વધુ વેક્સિન ડોઝ ઉપલબ્ધ છે. કચ્છ જિલ્લા માટે કામધેનુ યુનિવર્સિટીના વધુ ૧૭૫ લોકોને મોકલી રસીકરણ સઘન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પશુધનમાં આ લમ્પી સ્કીન ડિસીઝની સારવાર અને રસીકરણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા ૨૨૨ પશુચિકિત્સા અધિકારીઓ, ૭૧૩ પશુધન નિરીક્ષકો સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં જોડાયા છે. રાજ્યની વેટરનરી કોલેજના સ્નાતક, અનુસ્નાતક અને અધ્યાપકો મળીને ૧૦૭ સભ્યો કચ્છ ઉપરાંત જામનગર, દેવભૂમિ-દ્વારકા અને બનાસકાંઠામાં કાર્યરત થયા છે. તેમણે ત્યારબાદ જિલ્લા કલેકેટર કચેરીમાં જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું કે, જિલ્લામાં ૫૮ જેટલી પશુ ચિકિત્સા એમ્બ્યુલન્સ સેવારત છે. જિલ્લાના ૯૬૪ ગામોમાંથી 585 ગામોના પશુઓ આ રોગથી અસરગ્રસ્ત છે. ૩૮ હજાર પશુઓ આ રોગનો ભોગ બન્યા છે આ પૈકી ૩,૪૬૭ કેસ જ એક્ટીવ કેસ છે. ૫૦ હજાર પશુઓને સારવાર આપવામાં અવેલી છે એટલું જ નહીં ૨.૨૬ લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં રોજ ૨૦ હજાર પશુઓનું રસિકરણ કરીને બાકી રહેલા ૩.૩૦ લાખ પશુઓનું સઘન રસીકરણ કરવાનો એક્શન પ્લાન જિલ્લા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં રાજ્ય સરકાર તરફથી વેકસીનનો પૂરતો જથ્થો ફાળવવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ જિલ્લાના પશુધનમાં આ લમ્પી સ્કિન ડીસીઝ વધુ ન ફેલાય તે માટે રોગ ફેલાવતા કીટકોના નિયંત્રણ માટેના પગલાં અને ઉપાયો વધુ સઘન બનાવવા સૂચન કર્યું હતું. મૃત પશુઓના વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તેની તકેદારી રાખવા જિલ્લાના અધિકારીઓને તાકીદ કરી હતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ મુલાકાતમાં કૃષિ કલ્યાણ, સહકાર અને પશુપાલન વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને પશુપાલન નિયામક ફાલ્ગુનીબહેન વગેરે જોડાયા હતાં. કચ્છ જિલ્લા કલેક્ટર પ્રવિણા,જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા સહિત ધારાસભ્યો, પદાધિકારીઓ, ડેરીના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.