સાડા ત્રણ કરોડ નાગરિકોને પ્રથમ વખત ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ રાહતદરે આપવાનો નિર્ણય
ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાયા બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગરીબ પરીવારો તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો સમયે દરેક એન.એફ.એસ.એ. (NFSA) કાર્ડ ધારકો એટલે કે, ૭૦ લાખથી વધુ કાર્ડ ધારકોના સાડા ત્રણ કરોડ નાગરિકોને પ્રથમ વખત ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ રાહતદરે આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ૧૯૭ રૂપિયા જેટલી પ્રતિ લિટર પડતર કિંમત સામેમાત્ર ૯૭ રૂપિયા સબસીડી આપીને લાભાર્થીઓને માત્ર સો રૂપિયા પ્રતિ લિટર ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ ઉપલબ્ધ કરાવાશે. તેમણે ઉમેર્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવનો લોગો અમૂલ દૂધની થેલીઓ ઉપર છાપવાનો નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે, આશરે એક કરોડ ઘરમાં અમુલ દૂધ જતું હોવાથી આઝાદીના અમૃત મહોત્સવનો સંદેશ છેવાડાના પરિવાર સુધી પહોંચાડી શકાશે.