સમગ્ર દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવમીવાર લાલકિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન ૨૧ તોપોની સલામી અપાઈ હતી. લાલ કિલ્લા પરથી તેમણે દેશ સામે ૫ સંકલ્પ રાખ્યા અને ત્રિશક્તિનો મંત્ર આપ્યો. તેમણે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનને એક નવું નામ “વડાપ્રધાન સમગ્ર સ્વાસ્થ્ય મિશન”ના વિસ્તારનો ઉલ્લેખ કર્યો. ગાંધીજી, નેહરુજી અને સાવરકરને યાદ કર્યા.
નારીશક્તિનાં સન્માન અને ગૌરવની વાત કરી તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે મારું દર્દ દેશવાસીઓને નહીં કહું તો કોને કહીશ. ઘરમાં એકતા ત્યારે જ સ્થપાય છે જ્યારે દીકરો-દીકરી સમાન હોય. જેન્ડર ઈક્વાલિટી એકતાની પ્રથમ શરત છે. ઈન્ડિયા ફર્સ્ટ જ એકતાનો પ્રથમ મંત્ર છે. શ્રમિકોનું સન્માન કરવું જોઈએ. મારી એક પીડા છે, મારી અંદર એક દર્દ છે કે કોઈ ને કોઈ કારણે આપણી અંદર એક વિકૃતિ આવેલી છે. આપણે શબ્દોમાં નારીનું અપમાન કરીએ છીએ. શું આપણે સ્વભાવથી, સંસ્કારથી, રોજબરોજની જિંદગીમાં નારીના અપમાન કરવાની દરેક વાતથી મુક્તિનો સંકલ્પ લઈ શકીએ છીએ.
PMએ કહ્યું હતું કે જો આપણે આપણી પીઠ થપથપાવતા રહીશું તો આપણાં સપનાં દૂર થઈ જશે, તેથી ભલે આપણે ગમે તેટલા સંઘર્ષ કર્યો હોય છતાં આજે જ્યારે આપણે અમૃતકાળમાં પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે આગામી ૨૫ વર્ષ આપણા દેશ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આજે હું લાલકિલ્લા પરથી ૧૩૦ કરોડ લોકોને આહ્વાન કરું છું. મિત્રો, મને લાગે છે કે આવનારાં ૨૫ વર્ષ સુધી પણ આપણે આ પાંચ સંકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ૨૦૪૭માં આઝાદીનાં ૧૦૦ વર્ષ થવાનાં છે, ત્યારે આઝાદીપ્રેમીઓનાં તમામ સપનાંને સાકાર કરવાની જવાબદારી આપણે લેવી પડશે.
પ્રથમ સંકલ્પ: હવે દેશને મોટા સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ. ખૂબ મોટા સંકલ્પ સાથે ચાલવું પડશે. મોટો સંકલ્પ છે વિકસિત ભારત.
બીજો સંકલ્પ: જો હજુ પણ આપણા મનમાં કોઈપણ ખૂણામાં ગુલામીનો એકપણ અંશ હોય તો તેને કોઈપણ સંજોગોમાં છોડવાનો નથી. હવે આપણે એમાંથી સો ટકા છુટકારો મેળવવો પડશે, જેણે આપણને સેંકડો વર્ષોથી ગુલામીમાં પકડીને રાખ્યા છે.
ત્રીજો સંકલ્પ: આપણને આપણા વારસા પર ગર્વ હોવું જોઈએ. આ એ વારસો છે, જેણે એક સમયે ભારતને સુવર્ણકાળ આપ્યો હતો. આ વારસા પર આપણને ગર્વ હોવું જોઈએ.
ચોથો સંકલ્પ: એકતા અને એકજૂથ તા. ૧૩૦ કરોડ દેશવાસીઓમાં એકતા. ન તો પોતાનું કે ન કોઈ પરાયું. એક ભારત શ્રેષ્ઠ ભારતના સપના માટે એકતાની શક્તિ એ આપણી ચોથી પ્રતિજ્ઞા છે.
પાંચમો સંકલ્પ: નાગરિકોની ફરજ, જેમાં પીએમ પણ બહાર નથી હોતા, સીએમ પણ બહાર નથી હોતા. તેઓ પણ નાગરિક છે. આવનારાં ૨૫ વર્ષનાં સપનાં પૂરાં કરવા માટે ઘણો જુસ્સો છે. જ્યારે સપનાં મોટા હોય છે, જ્યારે વિચારો મોટા હોય છે ત્યારે પ્રયત્ન પણ ઘણો મોટો હોય છે.