ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ત્રણેય ભાજપ આપ અને કોંગ્રેસ પક્ષ ચૂંટણીલક્ષી જાહેરાતો કરવામાં રેસ લગાવી રહ્યું છે. એક તરફ કોંગ્રેસ પક્ષ ખેડૂતોના દેવા માફીની વાત કરી રહ્યો છે તો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ સતત ગુજરાત પ્રવાસ ખેડી ગેરંટી પર ગેરંટી આપી રહ્યા છે. આજે વડોદરાની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે વધુ એક ગેરંટી આપી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલાન કરતાં કહ્યું કે, આપની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.
વિધાનસભાની ચૂંટણીને જોતાં કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે. આજે વડોદરાના કાર્યક્રમ દરમિયાન તેમણે વધુ એક ચૂંટણીલક્ષી ગેરંટી આપી છે. તેમણે કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના સરકારી કર્મચારીઓ દુઃખી છે. જૂની પેન્શન યોજનાની માંગ સાથે કર્મચારીઓ ધરણા કરી રહ્યા છે.
કેજરીવાલે કહ્યું કે, ફોરેસ્ટ ગાર્ડ, પોલીસ, પૂર્વ સૈનિકો, કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. કર્મચારીઓ આંદોલન કરીને બદલાવ ઈચ્છી રહ્યા છે. એવુ લાગે છે કે આખુ ગુજરાત રસ્તા પર આવી ગયું છે. અમે રાજ્યના કર્મચારીઓ દુખી થયા છીએ, અમને એક મોકો આપો. કોઇ પણ રાજ્યમા સરકાર લાવી કે હરાવી તે કર્મચારીઓના હાથમાં છે. તેમણે ગેરંટી આપતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.