રાજસ્થાનના રાજકીય કકળાટ વચ્ચે અશોક ગેહલોત અને પ્રભારી રઘુ શર્મા ગુજરાતમાં ધ્યાન નહીં આપી શકે
રાજસ્થાનની રાજનીતિ એક નવા મોડ પર આવી ગઈ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતની કોંગ્રેસ-અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવવાની તૈયારી ચાલી રહી છે. તેમના સ્થાને મુખ્યમંત્રી તરીકે હાઇકમાન્ડની પસંદગી સચિન પાયલોટ છે, પરંતુ તેમના નામને લઈને ગેહલોત જૂથમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ધારાસભ્ય દળની બેઠક પહેલાં જ ગેહલોત જૂથના ૭૦ જેટલા ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીના ઘરે જઈને રાજીનામાં સોંપી દીધા છે.
હવે રાજસ્થાનની રાજકીય ઊથલપાથલ વચ્ચે ચૂંટણી ટાણે જ ગુજરાત કોંગ્રેસનું શું થશે એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે ગુજરાત કોંગ્રેસમાં ઓબ્ઝર્વર તરીકે અશોક ગેહલોત અને પ્રભારી તરીકે રઘુ શર્મા રાજસ્થાનના છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપી છે. એ ઉપરાંત રાજસ્થાનના આરોગ્યમંત્રી ડો. રઘુ શર્માને ગુજરાતના પ્રભારી બનાવ્યા છે. હવે ચૂંટણી ટાણે જ રાજસ્થાનનામાં મોટી રાજકીય ઊથલપાથલ થવાથી બંનેમાંથી એકપણ નેતા ગુજરાત કોંગ્રેસમાં ધ્યાન આપી શકે તેમ નથી. ગુજરાતમાં સપ્ટેમ્બરના અંતમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની છે. એ ઉપરાંત આગામી સમયમાં પ્રિયંકા ગાંધીનો રોડ શો પણ થવાનો છે. ત્યારે રાજસ્થાનની ઊથલપાથલમાં ગુજરાતને ભારે નુકસાન ભોગવવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે.
રાષ્ટ્રીય સ્તરે પરિવારવાદ અને જૂથવાદનો સામનો કરી રહેલી કોંગ્રેસ માટે હવે રાજસ્થાનમાં પેદા થયેલી સ્થિતિને કારણે ભારે અસહજ થવું પડી રહ્યું છે, જેની સીધી અસર ગુજરાત પર પણ પડી રહી છે. ગુજરાત કોંગ્રેસ માટે તો આ ઘટનાક્રમ દુષ્કાળમાં અધિકમાસ સમાન છે. ગુજરાત કોંગ્રેસ પહેલાંથી જ જૂથવાદને ખાળવા માટે મથી રહ્યું છે. એવામાં આ તમામ મુદ્દાને બાંધીને ચાલતા નેતા અશોક ગેહલોત અને રઘુ શર્મા બન્ને હવે પોતાના રાજ્યમાં વ્યસ્ત છે ત્યારે ગુજરાતમાં સ્થિતિ વિપરીત બની શકે છે. ગુજરાતમાં ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવે અને સ્થિતિ બરોબર ચૂંટણી પહેલાં જ ડામાડોળ થાય એવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.