નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાનાં અધ્યક્ષ સ્થાને ત્રિમંદિર સુરેન્દ્રનગર ખાતે સ્વ સહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દીનદયાલ અંત્યોદય યોજના તેમજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજનાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના સભ્યોને સખી મંડળો / સ્વ સહાય જૂથોમાં સંગઠિત કરી તેમનું બેંકો સાથે જોડાણ કરી, સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કૌશલ્ય તાલીમ અને કાયમી આજીવિકા આપી ગરીબીમાંથી બહાર લાવવાના હેતુ સાથે મિશન મંગલમ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપે આજે જિલ્લામાં ૯ હજાર કરતાં વધારે સખી મંડળો / સ્વ સહાય જૂથો અને ૨૭૨ જેટલાં ગ્રામ્ય સંગઠનો અસ્તિત્વમાં આવ્યા છે.
આ કાર્યક્રમ અંતર્ગત આજે ૧૦૦ કરતાં પણ વધારે સ્વ સહાય જૂથોને ૧ કરોડ ૩૫ લાખથી વધુ રકમોના ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે. વધુમાં નાયબ મુખ્ય દંડક એ ઉમેર્યું હતું કે, બહેનો આર્થિક રીતે પગભર થાય અને તેમના સર્વાંગી વિકાસ માટે સરકાર તરફથી અનેકવિધ સહાય માટેની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેના થકી આજે મહિલાઓ આત્મનિર્ભર બની છે. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્વ સહાય જૂથોને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઇન્ચાર્જ કલેક્ટર સહિત મોટી સંખ્યામાં સ્વ સહાય જૂથો / સખી મંડળ સાથે જોડાયેલી બહેનો ઉપસ્થિત રહી હતી.