ઈન્દોરમાં આજથી ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટનો પ્રારંભ.
ઈન્દોરમાં આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ આપ્યો હતો. આ સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે અને દેશની અર્થવ્યવસ્થા પણ તેજ ગતિએ છે. તેમણે વધુમાં કહ્યું કે, IMF ભારતને વિશ્વ અર્થતંત્રમાં એક તેજસ્વી સ્થાન તરીકે જુએ છે. ઈન્ટરનેશનલ બેંક સર્વે વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, મોટાભાગના રોકાણકારો ભારતને પ્રાથમિકતા આપી રહ્યા છે. તેમજ આત્મનિર્ભર ભારત અભિયાનના પરિણામે દેશ રોકાણ માટે આકર્ષક સ્થળ બન્યો છે.
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે બેંકિંગ ક્ષેત્રમાં રિકેપિટલાઇઝેશન, IBC જેવા આધુનિક રિઝોલ્યુશન ફ્રેમવર્ક, GST જેવા વન નેશન વન ટેક્સ, ઘણા ક્ષેત્રોમાં ઓટોમેટિક રૂટ દ્વારા ૧૦૦ % FDIને મંજૂરી આપવી જોઈએ. બીજી તરફ, તેમણે મધ્યપ્રદેશને રોકાણની દ્રષ્ટિએ વિકસિત ભારત માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ સમિટમાં ૫ હજારથી વધુ ઉદ્યોગપતિ સામેલ થવાના છે. આ સિવાય સમિટમાં ૬૫ દેશોના ૩૦૦ થી વધુ પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી, ગયાના દેશના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ ઈરફાન અલી, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રી પ્રહલાદ સિંહ પટેલે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું.