દેશમાં સતત વધી રહેલા H3N2 વાયરસે કેન્દ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન નીતિ આયોગે H3N2ને લઈને એક બેઠક પણ યોજી હતી અને હવે કેન્દ્ર સરકાર તરફથી પત્ર લખીને રાજ્યોને સૂચના આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કોને H3N2 થી વધુ જોખમ છે? કેવા લોકોની H3N2 થી સ્થિતિ ગંભીર બની શકે? H3N2 ના લક્ષણો દર્શાવ્યા પછી કોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે? આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે, સમગ્ર દેશમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગો અને ગંભીર શ્વસન રોગોનું વલણ વધી રહ્યું છે. આપણે આ બાબતે સાવચેત રહેવાની જરૂર છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, તમામ લેબમાં કરવામાં આવતા નમૂનાઓના વિશ્લેષણમાં ઈન્ફલ્યુએન્ઝા A (H3N2) ની વધુ માત્રાની તપાસ ખાસ ચિંતાનો વિષય છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે એમ પણ કહ્યું કે, વૃદ્ધો, નાના બાળકો અને બહુવિધ રોગોથી પીડિત લોકો ખાસ કરીને જોખમમાં છે. આ લોકો HIN1, H3N2, Adenovirus વગેરે પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. રાજ્યોને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનામાં કોરોના વાયરસના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ કેટલાક રાજ્યોમાં કોવિડ ટેસ્ટમાં જોવા મળતા સકારાત્મકતા દરમાં ધીમે ધીમે વધારો ચિંતાજનક બાબત છે. આ અંગે સતર્ક રહેવાની અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
સચિવ રાજેશ ભૂષણે વધુમાં જણાવ્યું હતું કે, વૃદ્ધો, સ્થૂળતાથી પીડિત અને એક કરતાં વધુ રોગોથી પીડાતા લોકો અને સગર્ભા સ્ત્રીઓએ H3N2 અને એડેનોવાયરસ વગેરેથી વધુ સાવચેત રહેવાની જરૂર છે. જો સમસ્યા વધી જાય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે.