આજે કેટલાક વિસ્તારમાં હિલસ્ટ્રોમની આગાહી

આજે વહેલી સવારથી ગુજરાતભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી છે. આજે વહેલી સવારે જામનગર, દ્વારકા અને કચ્છમાં ઝરમર કમોસમી વરસાદ પડ્યો છે. આ વચ્ચે હવે હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સર્ક્યુલેશન સક્રિય હોવાથી રાજ્યમાં આગામી ૫ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.

આજે સવારથી જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાતાવરણમાં પલટો આવવાથી ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. આજે કેટલાક વિસ્તારમાં હિલસ્ટ્રોમની પણ આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં કરા સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૬, ૧૭, ૧૮ અને ૧૯/૦૩/૨૦૨૩ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. રાજ્યમાં આ સમયગાળા દરમિયાન ૩૦ થી ૪૦ કિ.મીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.

કુદરત હજુ પણ ફાગણમાં અષાઢી મેઘનો માહોલ સર્જી રહી છે. રાજ્યના અનેક વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ પડી રહ્યો છે. આવા વરસાદથી સ્વાભાવિક રીતે જગતના તાતની દશા ભૂંડી થઈ છે.  જામનગર, દ્વારકા તેમજ કચ્છમાં વરસાદી વાતાવરણ જામતા ઘઉં, એરંડા, જીરું, બટાકા અને કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ જાણવા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *