ગરીબ અને મધ્યમ વર્ગીય પશુપાલકો માટે બકરા પાલન શ્રેષ્ઠ વિકલ્પ : પશુપાલન મંત્રી રાઘવજી પટેલ
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, નાના પશુઓનું પાલન કરતાં પશુપાલકો માટે રાજ્ય સરકાર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી તેમને સહાય આપી રહી છે. દેશની અર્થવ્યવસ્થામાં પણ પશુપાલન વ્યવસાયનું ખૂબ મોટું યોગદાન છે, ત્યારે ગરીબ તેમજ મધ્યમ વર્ગીય ખેડૂત પશુપાલકોની આવક વધારવા માટે બકરા પાલન શ્રેષ્ઠ વિકલ્પ છે. બકરા એકમ સહાય માટે રાજ્ય સરકાર દ્વારા ( ૧૦ બકરી + ૧ બકરા ) એકમ દીઠ રૂ. ૪૫ હજારની સહાય ચૂકવવામાં આવે છે.
વિધાનસભા ગૃહમાં બકરા એકમ સહાય સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું કે, તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં દાહોદ જિલ્લામાં બિન અનામત કેટેગરીના કુલ ૩૯ લાભાર્થીઓને રૂ.૧૭.૫૫ લાખ સહાય ચૂકવવામાં આવી છે. તે જ રીતે પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં અનુસૂચિત જનજાતિની ૧૬૦ મહિલા લાભાર્થીઓને બકરા એકમ સહાય યોજના હેઠળ રૂ.૭૨ લાખ સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં અનુસૂચિત જનજાતિની ૧૧૬ મહિલા લાભાર્થીઓને આ યોજના હેઠળ બે વર્ષમાં રૂ.૫૬.૭૦ લાખની સહાય ચૂકવાઇ છે.