રાજ્યમા નશાકારક પદાર્થો પર પ્રતિબંધ છે. છતા અવારનવાર રાજ્યમાં નશાકારક પદાર્થ ઝડપાતા રહે છે. રાજકોટ ની મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. વિદ્યાના ધામમાંથી ગાંજાનું વાવેતર મળી આવતા શહેરમાં હડકંપ મચ્યો હતો. મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજો પકડાતા ચકચાર મચી છે. યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજો મળી આવતા પ્રશાસન પર અનેક સવાલો ઉઠ્યા છે. બોયઝ હોસ્ટેલની બાજુમાંથી સુકો ગાંજો તેમજ લીલા ગાંજાના છોડવા મળી આવ્યા હતા. જો કે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ માટે મારવાડી યુનિવર્સિટીમાં પહોંચી હતી.
હાલ પોલીસે NDPS ના કેસને લઈને તપાસ શરૂ કરી છે. જો કે બીજી તપાસ થાય તે પહેલા જ આગચંપી કરવામાં આવી હતી. જેથી અનેક સવાલ ઉભા થયા છે કે શું ખરેખર મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું. કેમ પોલીસ પહોંચે તે પહેલા ગાંજો સળગાવી દેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે મારવાડી યુનિવર્સિટી અને કોલેજમાં અંદાજિત ૧૦ હજારથી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ૨૦૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહે છે.