૨૧ એપ્રિલના દિવસે સમગ્ર દેશમાં સિવિલ સર્વિસ ડે મનાવાઈ રહ્યો છે. સરદાર પટેલના શબ્દોમાં કહીએ તો ભારતની ‘સ્ટીલ ફ્રેમ’ ગણાતાં અધિકારીઓના સન્માનમાં આ દિવસની ઉજવણી થાય છે.
જેમના વગર ‘સરકારી ગાડી’ દોડવી તો ઠીક હલી પણ ન શકે, જેમની ગણના સેવાના ભેખધારીઓ તરીકે થાય છે અને જેઓ સમાજસેવામાં જોતરાયેલા છે તેવા સરકારી બાબુઓ IAS અને IPS સહિતના બીજા અધિકારીઓ માટે આજનો દિવસ ખાસ છે.
૨૧ એપ્રિલ એટલે નેશનલ સિવિલ સર્વિસ ડે
૨૧ એપ્રિલ એટલે નેશનલ સિવિલ સર્વિસ ડે. આજે દેશભરમાં ઉજવાઈ રહેલો આ દિવસ સમાજના ભલા અને લોકોની સેવામાં લાગેલા સરકારના સનદી અધિકારીઓ માટે ખાસ છે. જેને સેવાના ભેખધારીઓ કહી શકાય તેવા IAS અને IPS સહિતના અધિકારીઓની સેવાની કદર કરીને તેમને યોગ્ય પુરસ્કાર આપવાનું કામ આ દિવસે થાય છે.
કેમ ઉજવાય છે સિવિલ સર્વિસ ડે
દેશના ઘણા લોકસેવા વિભાગોમાં રોકાયેલા અધિકારીઓના કામને ઉજાગર કરવા માટે દર વર્ષે ૨૧ એપ્રિલના રોજ રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ 2023 ઉજવવામાં આવે છે. સાથે મળીને સરકારી તંત્રને ચલાવનાર અને દેશના નાગરિકોની સેવા અધિકારીઓનું સન્માન કરાય છે.
સિવિલ સર્વિસમાં ધારાસભા, ન્યાયતંત્ર અને લશ્કરી કર્મચારીઓનો સમાવેશ થતો નથી. સિવિલ સર્વિસના ક્ષેત્રમાં અધિકારીઓ કોઇ પણ રાજકીય પક્ષ માટે પ્રતિબદ્ધ નથી.
સરદાર વલ્લભભાઈ પટેલે ગણાવ્યાં હતા ભારતની સ્ટીલ ફ્રેમ
સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે ૧૯૪૭ માં દિલ્હીના મેટકાફે હાઉસમાં વહીવટી સેવાના અધિકારીઓના પ્રોબેશનર્સને સંબોધન કર્યું હતું અને તેમના સંબોધનમાં પટેલે સનદી અધિકારીઓને ‘સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા’ ગણાવીને તેમના મ્હોંફાટ વખાણ કર્યાં હતા તે જ દિવસથી ભારતમાં ૨૧ એપ્રિલને નેશનલ સિવિલ સર્વિસ ડે તરીકે ઉજવવાની પરંપરા રહી છે.
નેશનલ સિવિલ સર્વિસ ડેના અવસરે પ્રધાનમંત્રી સર્વશ્રેષ્ઠ અધિકારીઓને આપે છે પુરસ્કાર
દર વર્ષે આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા જાહેર વહીવટના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા માટે જિલ્લા/અમલીકરણ એકમોને એવોર્ડ આપવામાં આવે છે. આ પુરસ્કાર યોજના દેશભરના ઘણા જિલ્લાઓને આવરી લે છે. તદુપરાંત, એવોર્ડ સમારંભ સનદી અધિકારીઓને એક સાથે લાવે છે અને તેમને એકબીજા સાથે જોડાવામાં પણ મદદ કરે છે. સાથે જ દેશભરમાં જે સારી પ્રથાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે તેના વિશે પણ જાણકારી મેળવે છે.