કર્ણાટક ચૂંટણી ૨૦૨૩ સમાચાર:- કર્ણાટક ચૂંટણીમાં પ્રચાર માટે હવે ભાજપ-કોંગ્રેસ પાસે માત્ર એક જ દિવસની તક, આજે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો રોડ શો
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર હવે અંતિમ તબક્કામાં છે. રાજ્યમાં આજે રાજકીય રવિવાર જોવા મળશે. એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં છે, તો બીજી તરફ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ધૂમ મચાવતા જોવા મળશે. એકંદરે આજે ચૂંટણી રાજ્યમાં અનેક જાહેરસભાઓ જોવા મળશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર સોમવારે સમાપ્ત થશે. આવતીકાલે સાંજે ૦૫:૦૦ વાગ્યાથી ચૂંટણી પ્રચાર સંપૂર્ણપણે બંધ થઈ જશે.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર માટે હવે ભાજપ અને કોંગ્રેસ બંને પાસે માત્ર એક જ દિવસની તક છે. આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે રોડ શો છે. આ તેમનો બીજો રોડ શો હશે જે સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ સુધીનો રહેશે. PM મોદીએ આદેશ આપ્યો છે કે, NEETની પરીક્ષાઓ હોવાથી આજનો કાર્યક્રમ ટૂંકો રાખવામાં આવે. પીએમ મોદીનો ચૂંટણી કાર્યક્રમ આજે સમાપ્ત થશે. ૧૦ મેના રોજ મતદાન થવાનું છે.
પીએમ મોદીના રોડ શોનો સમય આજે ઘટાડી દેવામાં આવ્યો છે. આજે પીએમ મોદીનો માત્ર દોઢ કલાકનો રોડ શો થશે. કહેવાય છે કે, આજે NEETની પરીક્ષા હોવાથી પીએમએ પોતે આ નિર્ણય લીધો છે. PMએ આ નિર્ણય એટલા માટે લીધો છે કે, પરીક્ષાર્થીઓને આવવા-જવામાં કોઈ મુશ્કેલી ન પડે. આ રોડ શો માત્ર ૬.૧ કિલોમીટરનો હશે. કેમ્પેગોડા સ્ટેચ્યુ ન્યૂ ટિપ્પાસન્દ્રાથી શરૂ થઈને ટ્રિનિટી સર્કલ, એમજી રોડ સુધી જશે.
રોડ શો બાદ પીએમ મોદી શિવમોગા ગ્રામીણમાં રેલી પણ કરવાના છે. પીએમ ૦૧:૩૦ સુધીમાં અહીં પહોંચી જશે. અહીંથી પીએમ બપોરે ૦૩:૩૦ વાગ્યે નંજનગુડ પહોંચશે, જ્યાં તેઓ એક રેલીને સંબોધિત કરશે. રવિવારે સાંજે વડાપ્રધાન નંજનગુડમાં શ્રીકાંતેશ્વરના પ્રખ્યાત મંદિરમાં દર્શન અને પૂજા સાથે ચાર રેલીઓ સાથે તેમના પ્રચારનો અંત કરશે. પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે શિવના દર્શન કરીને કર્ણાટક ચૂંટણી પ્રચારનું સમાપન કરશે.